તાજેતરમાં પાંજરાપોળ ચાર રસ્તા પર બીઆરટીએસ બસ દ્વારા બાઇકસવાર બે સગા ભાઇઓને કચડી નાખતાં આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર ફેલાવી હતી. શહેરીજનોમાં અરેરાટીભર્યા પ્રત્યાઘાતો પડતા મ્યુનિસિપલ સત્તાવાળા પણ કુંભકર્ણની નિદ્રામાંથી જાગૃત થયા છે.
ગઇ કાલે તંત્ર દ્વારા બીઆરટીએસના તમામ અધિકારીઓને ફરજ પ્રત્યે બેદરકારી બદલ અન્યત્ર ખસેડી દેવાયા છે. દરમ્યાન બીઆરટીએસની ખામી પણ હવે સત્તાવાળા સમક્ષ ઉજાગર થઇ રહી છે. જેને પગલે વર્ષોથી વિવાદાસ્પદ એવા નરોડા-નારોલ હાઇવે પરના સાઈકલ ટ્રેકને ઉખાડી નાખવાની દિશામાં હિલચાલ આરંભાઇ છે.
આજની સ્થિતિએ બીઆરટીએસના રોજના માંડ દોઢ લાખ જેટલા પેસેન્જર્સ છે. બીજી તરફ બીઆરટીએસ આવકની દૃષ્ટિએ સફેદ હાથી પુરવાર થઇ છે. બીઆરટીએસએ તેના શરૂ થયાના વર્ષ ર૦૦૯થી માંડી અત્યાર સુધીમાં એટલે કે ર૦૧૭-૧૮ સુધીમાં રૂ.રર૦ કરોડની ખોટ કરી છે.
બીઆરટીએસ કોરિડોર અને સાઇકલ ટ્રેક જેવા મામલે ઉચ્ચસ્તરીય સમીક્ષા ચાલી રહી છે. ગીતામંદિર, મણિનગર, શાહઆલમ, ખમાસા, દિલ્હી દરવાજા જેવા ગીચ અને સાંકળા રોડના કોરિડોર હટાવવાની માગણી દિન-પ્રતિદિન ઉગ્ર બની રહી છે. બીજી તરફ સેપ્ટની ડિઝાઇનની શરૂઆતથી જ નરોડા-નારોલ હાઇવે પરના સાઇકલ ટ્રેક વિવાદમાં મુકાયો છે.
ખાસ કરીને આ વિસ્તારના રત્નકલાકાર જેવા શ્રમિકો સાઇકલ ટ્રેકનો બહોળો ઉપયોગ કરશે તેવી ધારણાથી તંત્રએ બે થી અઢી મીટર પહોળો સાઇકલ ટ્રેક બંને બાજુએ લાખો રૂપિયાના ખર્ચે બનાવ્યો તો ખરો પરંતુ આ સાઇકલ ટ્રેક તેના પરનાં દબાણો વગેરેથી ઉપયોગી બનતો નથી. પૂર્વ મેયર ગૌતમ શાહના કાર્યકાળમાં તેને ઉખાડી લેવાના ચક્રો ગતિમાન કરાયાં હતાં, છેવટે તેની પર ઠંડુ પાણી રેડાયું હતું.
પાંજરાપોળની ઘટના બાદ મળેલી સ્ટેન્ડિંગ કમિટીએ નેશનલ હાઇવે નં૮ પરના નરોડાથી નારોલ સુધીના રસ્તા પરના સાઇકલ ટ્રેક હટાવવાની ભલામણ વહીવટી તંત્રને કરી છે આ ઉપરાંત આ રસ્તા પરના સર્વિસ રોડ પર થયેલા દબાણને પણ હટાવવાની તાકીદ અધિકારીઓને કરી છે.
કોલંબિયાના બોગોટો શહેરની બીઆરટીએસ સર્વિસને ધ્યાનમાં રાખી સેપ્ટે અમદાવાદ જેવા ગીચ વસ્તી ધરાવતા શહેર માટે બીઆરટીએસની ડિઝાઇન તૈયાર કરી તે સમયે પણ ભારે વિવાદ સર્જ્યો હતો. શહેરના રસ્તા બોગોટો જેવા પહોળા ન હોવા છતાં પ્રતિ કિલોમીટર ચાર કરોડના ખર્ચે વોક-વે, સાઇકલ ટ્રેક જેવી બાબતોનો સમાવેશ કરી બીઆરટીએસ કોરિડોરને ઉપરાંત હાઇવેને વધુ સાંકડો કરી દેવાયો હતો. હવે તંત્રએ બીઆરટીએસ કોરિડોર ધરાવતા યુનિવર્સિટીથી હેલ્મેટ સર્કલ સુધીના રસ્તા પરના સાઇકલ ટ્રેકની પણ સમીક્ષા કરવી પડશે. કેમ કે તે પણ તંત્રનો ફલોપ શો છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ કહે છે કે, નરોડા-નારોલ સહિતના બીઆરટીએસ કોરિડોર ધરાવતા રોડની સમીક્ષા કરવા માટે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા, વાહન વ્યવહાર કમિશનર, મ્યુનિ. કમિશનર અને ટ્રાફિક જોઇન્ટ કમિશનરની ઉચ્ચસ્તરીય કમિટી રચાઇ છે. સાઇકલ ટ્રેક તેમજ સર્વિસ રોડનાં દબાણ હટાવવાનો ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.