નર્મદા: વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા બનીને તૈયાર થઈ છે. આવતીકાલે પીએમ મોદીના હસ્તે 182 મીટરની ઉંચાઈવાળી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થશે. લોકાર્પણને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા સુરક્ષાને લઈને હજારો પોલીસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે.
લોકાર્પણના સમયે પ્રતિમા પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે. આ સાથે જ આ દરમિયાન ફોટોગ્રાફી પણ કરવામાં આવશે. ફોટોગ્રાફી માટે અલગથી સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે. લોકાર્પણના માઈક્રોપ્લાનીંગ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમીક્ષા પણ કરવામાં આવી છે.
સોમવારે મુખ્ય સચિવ જે.એન.સિંહે સુરક્ષાની સમીક્ષા પણ કરી હતી. મહત્વનું છે કે સરદારની પ્રતીમા પાસે વેલી ઓફ ફ્લાવર બનાવવામાં આવ્યું છે.. પ્રતિમાની આસપાસ વિવિધ ફૂલો પણ પથરાવવામાં આવ્યા છે. પીએમ મોદીના હસ્તે આવતીકાલે લોકાર્પણ થશે. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને અનેક રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહેશે.
શું છે સમગ્ર કાર્યક્રમ?
આગામી તારીખ ૩૧ ઓક્ટોબરનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી ઉંચી પ્રતીમા સ્ટેચ્યુ ઓફ યુનીટીનાં લોકાર્પણને લઇને તાજેતરમાં કેવડીયામાં યોજાયેલ મીટિંગમાં કાર્યક્રમને લઇને આખરી ઓપ અપાયો છે. જેની માહિતી આજે રાજ્યનાં મુખ્ય સચીવે આપી છે.
જે મુજબ આગલા દિવસે(30 ઓક્ટોબર) અમદાવાદ ખાતે રાતે 10 વાગ્યા આસપાસ એરપોર્ટ પર આવશે અને રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ 31 ઓક્ટોબરના સવારે ૯ કલાકે પ્રધાનમંત્રીનું ડેમનાં હેલીપેડ ખાતે આગમન થશે. ૯.૧૦ કલાકે વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લેશે.
૯.૫૦ કલાકે ટેન્ટ સીટી પર આગમન થશે. ૧૦.૧૫ કલાકે સભા સ્થળ પર આગમન થશે. ૧૦.૨૦ કલાકે વોલ ઓફ યુનિટીની મુલાકાત લેશે. ૧૧.૩૫ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. ૧૧.૪૫ કલાકે મ્યુઝિયમની મુલાકાત લેશે. ૧૨.૧૫ કલાકે હેલીપેડથી પ્રધાનમંત્રી રવાના થશે.