પાણીને લઈને હવે મધ્યપ્રદેશ અને ગુજરાત આમને સામને આવ્યા છે. નર્મદા ડેમમાં પાણીને લઈને મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર વચ્ચે વિવાદ ફરી સપાટીએ પહોચ્યો છે. 15 વર્ષ બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવતા વિવાદ થયો છે.
મધ્યપ્રદેશની સરકારે ગુજરાતને નર્મદાનું પાણી બંધ કરવાની ચીમકી આપી છે. ગુજરાત માટે જીવાદોરી સમાન નર્મદાનું પાણી બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગુજરાતે નર્મદાના વધુ પાણીની માગ કરી છે. નર્મદાની 138.68 મીટરની ક્ષમતાની ચકાસણી માટે માગ કરી છે. નર્મદાના પાણી વિવાદ મામલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે નિવેદન આપતા કહ્યું કે, અમે ગુજરાતને નિયમ પ્રમાણે પાણી આપીશું. ગુજરાતને નિયમ કરતા વધારે પાણી નહીં મળે.
આ પહેલા ચૂંટણી સમયે નર્મદાના પાણીને લઈને મુદ્દો ઉઠ્યો હતો. ત્યારે હવે સરકાર બદલાતા મુદ્દો વકર્યો છે. હાલમાં નર્મદાના પાણીનો 4 રાજ્યોને લાભ મળે છે. મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રને નર્મદાના પાણીનો લાભ મળે છે. ગુજરાતમાં ભાજપ સરકાર અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર વચ્ચેના વિવાદને લઈને ખેડૂતોને પાણીની સમસ્યા સર્જાઈ રહી છે.
નર્મદાનું પાણી ગુજરાતને પહોંચાડવા સરકાર કટિબદ્ધ : CM રૂપાણી
નર્મદાના પાણીને લઇ સીએમ રૂપાણીએ નિવેદન આપ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું કે, નર્મદાનું પાણી ગુજરાતને પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે અને સરકાર પીવાના પાણીને લઇને ચિંતિત પણ છે. સીએમએ કહ્યું કે, નર્મદા ડેમમાં પૂરતું પાણી છે. પરંતુ જો મધ્ય પ્રદેશ સરકાર પાણી નહીં છોડે તો ખેડૂતોને નુકસાન થશે.
જ્યારે નર્મદાના પાણી મુદ્દે જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું કે, કોંગ્રેસની સરકાર હંમેશા ગુજરાત વિરોધી રહી છે. કોંગ્રેસની મધ્ય પ્રદેશની સરકાર ગુજરાત વિરોધી અને ખેડૂત વિરોધી છે. ઉપરાંત તેઓએ કહ્યું કે, જો પાણી રોકાયું તો આંદોલન કરીશું.