નર્મદા: મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમમાં 24 હજાર 226 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
3 દિવસમાં ડેમની સપાટીમાં 4.5 મીટરનો વધારો થતા સરકાર અને ખેડૂતોની ચિંતામાં ઘટાડો થયો છે. ડેમની સપાટીમાં વધારો થતા હવે સપાટી 114.69 મીટરે પહોંચી છે. ત્યારે હવે ડેમ 1 વર્ષ પીવાનું પાણી પુરું પાડવામાં સક્ષમ છે. હાલ ડેમમાં 459.56 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો થયો છે. બંધ રિવરબેડ પાવર હાઉસ ચાલુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કેચમેન્ટ એરિયામાં છેલ્લા 72 કલાકમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેને લઈને ઉપરવાસમાંથી 2.25 લાખ ક્યૂસેક પાણી આવ્યું હતું જેને લઈને 4.5 મીટર સપાટી વધી હાલ 409 ક્યુબીક મીટર સંગ્રહ થયો છે. એટલે હાલ પાણીની સપાટી 114.72 મીટર થઈ છે. પ્રતિ કલાકે 3 સે.મી નો વધારો નોંધાઇ રહ્યો છે .
આપને જણાવી દઇએ કે રાજ્યમાં વરસાદ મોડો પડવાને કારણે નર્મદા બંધ સહિત 204 જળાશયોમાં માત્ર 29.58 ટકા પાણી બચ્યું હતું.જેમાં નર્મદા બંધમાં 31.73 ટકા પાણીનો જથ્થો બચ્યો હતો. ત્યારે આજરોજ મળેલ સમાચાર મુજબ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાને કારણે સરદાર ડેમની સપાટીમાં વધારો થયો હતો.