નર્મદાના પાણીના મુદ્દે ભાજપ શાસિત ગુજરાત સરકાર અને પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર સામસામે આવી ગઇ છે. ગુજરાતે સરદાર સરોવર ડેમના દરવાજાની ક્ષમતા તપાસવા માટે ડેમ તેની સર્વોચ્ચ સપાટી ૧૩૮.૬૮ મીટર સુધી પાણીથી ભરવા માટે મધ્યપ્રદેશ સરકાર પાસેથી પાણી છોડવાની માગ કરી રહી છે. પરંતુ મધ્યપ્રદેશ સરકારે પાણી છોડવાનો ઇન્કાર કરી દીધો છે.
ગુજરાતને મધ્યપ્રદેશ દ્વારા પાણી નહીં આપવાની ચિમકીનો મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, જો મધ્યપ્રદેશ પાણી નહીં આપે તો રાજ્યની ધરતી પરથી આંદોલન કરીશું. રાજ્યની જનતાએ 26-26 બેઠકો આપી છે. અમે મધ્યપ્રદેશની સરકારને ચેતવીએ છીએ.
વધુ પાણી ભરાશે તો કેટલાક ગામો ડૂબમાં જશે
મધ્યપ્રદેશ સરકાર જણાવી રહી છે કે, નર્મદા ડેમમાં વધુ પાણી ભરાશે તો કેટલાક ગામો ડૂબમાં જશે અને ગામોને મોટી અસર પહોંચશે. જેને લઇને પાણી આપવાનો ઇન્કાર કરી રહી છે. જોકે આ મુદ્દે હવે ગુજરાત સરકાર નર્મદા કંટ્રોલ ઓથોરીટી સમક્ષ આ મુદ્દો લઇ જવાની તૈયારી કરી છે.
...તો પાણી પણ છોડવામાં નહીં આવે
મધ્યપ્રદેશ સરકાર સરદાર સરોવર ડેમમાંના 1450 મે.વૉ.ની ક્ષમતાવાળા હાઇડલ પાવરમાંથી 57 ટકાનો ઊર્જાનો હિસ્સો પણ માગી રહી છે. મધ્યપ્રદેશનું કહેવું છે કે, જો ગુજરાત સરકાર વીજ ઉત્પાદન કરીને નહીં આપે તો પાણી પણ છોડવામાં નહીં આવે. જોકે, ગુજરાતના ઊર્જાપ્રધાન સૌરભ પટેલે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, હાલ આ પ્લાન્ટ બંધ હોવાથી ઊર્જાનું ઉત્પાદન થતું નથી.
ગુજરાત સરકારના દાવા અનુસાર માર્ચ 2018ના આખર સુધીમાં તેમણે મધ્યપ્રદેશના 5549 પરિવારો, મહારાષ્ટ્રના 750 પરિવારો અને ગુજરાતના 4763 પરિવારોને 236 પુનર્વસન વસાહતોમાં સ્થળાંતરીત કરી દીધા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં જળસંકટ હળવું થઇ શકે છે
આમ આ વર્ષે મધ્યપ્રદેશની આડોડાઇના કારણે સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટર સુધી પાણીથી ભરવાની સ્થિતિ નહિવત્ બની છે. જો નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ ક્ષમતાએ ભરાય તો રાજ્યને 4542 મિલિયન ક્યુબિક મીટર પાણી વધારાનું મળી શકે છે. જેના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં જળસંકટ હળવું બને તેમ છે.