સમગ્ર રાજ્યમાં હાલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે રાજ્યનાં અનેક શહેરોમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. ઉપરાંત દરિયાકાંઠાનાં જે-જે વિસ્તારો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. ત્યારે રાજ્યમાં ભારે વરસાદની વચ્ચે હાલમાં ભરૂચમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે ભારે વરસાદથી ભરૂચમાં આવેલી નર્મદા નદીનાં એકાએક જળસ્તરમાં વધારો થઇ ગયો છે.
નર્મદા નદી (Narmada River) પર આવેલાં ગોલ્ડન બ્રિજ (golden bridge) પાસે પણ પાણીની સપાટીમાં વધારો થયો છે. નદીનાં બ્રિજની ભયજનક સપાટી હાલમાં 24 ફૂટ છે. આ બ્રિજની સપાટી વધીને 29.75 ફૂટે પહોંચી છે. જેને પગલે નર્મદા નદી કાંઠાનાં વિસ્તારમાંથી એક હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરાંત તંત્ર દ્વારા કાંઠા વિસ્તારનાં તમામ ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યાં છે.
મહત્વનું છે કે રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક શહેરોમાં તેની વાહનવ્યવહાર પણ ભારે અસર પડી છે. ઉપરાંત અલગ-અલગ ડેમો પણ છલકાઇ ગયા છે. ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાંથી પણ નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી નર્મદા નદીની જળસપાટીમાં વધારો થયો છે. ભરૂચ પાસે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી હાલમાં 29 ફૂટે પહોંચી ગઈ છે.
નર્મદા નદીએ ભયજનક 24 ફૂટની જળસપાટી વટાવી દીધી છે. ભયજનક સપાટી વટાવ્યા બાદ નર્મદા નદી 4.5 ફૂટ ઉપરથી વહી રહી છે. જેનાં કારણે નદી કિનારાનાં ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યાં છે. આ સાથે જ અસરગ્રસ્ત ગામડાઓમાં લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યાં છે. સાથે સાથે ફુરજા રોડ અને ચાર રસ્તા નજીક પાણીની આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. જેનાં કારણે વાહન વ્યવહાર પર અસર થઈ રહી છે.
નર્મદા ડેમમાં 23 દરવાજાઓ ખોલી દેવાયાં
મધ્યપ્રદેશનાં ઇન્દિરાસાગર ડેમનાં 12 ગેટ અને ઓમકારેશ્વર ડેમનાં 16 ગેટો ખોલવામાં આવ્યાં છે. જેને લીધે નર્મદા ડેમમાં પણ 7.12 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ ગઇ છે. ઉપરાંત મહત્વની બાબત એ છે કે નર્મદા ડેમનાં 23 દરવાજાઓ પ્રથમ વાર ખોલવામાં આવતા ડેમમાંથી 6.5 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. હાલમાં નર્મદા નદીનાં ગામડાંઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.