સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૧૫૦૦ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાનું શરૂ કરાતા છેલ્લા કેટલાક વર્ષથી પોતાના અસ્તિત્વ માટે ઝઝુમતી અને મૃતપાય બનેલી નર્મદાજીમાં નવા પ્રાણ પૂરાયા છે જેનેલઈ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદાના નવા નીર નાવિકો અને બ્રાહ્મણ માટે જીવાદોરી બન્યા છે.
ચેકડેમો બાંધી રાજ્ય સરકારે ગુજરાતની નદીઓ લુપ્ત બનાવી લીધી
પુરા ગુજરાતભરમાં ડેમો અને ચેકડેમો બાંધી રાજ્ય સરકારે ગુજરાતની નદીઓ લુપ્ત બનાવી લીધી છે. જેથી નદીમાં નાવડી લઈને પોતાના પરિવાર ગુજરાન ચલાવવા વાળા પરિવારો પર સંકટના વાદળ છવાઈ ગયા હતા. જ્યારે વડોદરાના ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીમાં નવા નીર રાજ્ય સરકાર દ્વારા છોડવામાં આવતા નાવિક પરિવારો તેમજ ચાંદોદના બ્રાહ્મણો અને ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
કારણ કે છેલ્લા કેટલાય સમયથી નર્મદા નદીમાં પાણી ન હોવાથી નાવડીઓ પાણીમાં ચાલી નથી શકતી. તેમજ પાણી ઓછું હોવાથી ચાંદોદ ખાતે પિતૃતર્પણ અને ધાર્મિક વિધિ વિધાન માટે આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી જોવા મળી રહી હતી. જેની સીધી અસર ચાંદોદના બ્રાહ્મણો ઉપર થઇ રહી હતી. જેથી બે દિવસ પૂર્વે રાજ્ય સરકાર દ્વારા નર્મદા ડેમમાંથી 1500 કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવાથી બ્રાહ્મણો અને નાવિકોની ફરી પાછી રોજી પાછી મળી છે.
લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો
એટલું જ નહિ ચાંદોદના બ્રાહ્મણ અને નાવિકો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ છેલ્લા ચોમાસા પછી એક પણ વખત પાણી છોડવામાં ન આવ્યું જેથી ક્યાંકને ક્યાંક લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. હાલ કાંઠા વિસ્તારના રહીશોની અનેકવિધ રજૂઆતના પગલે નર્મદાજીમાં પાણી છોડાતા સુખી ભટ્ટ થયેલી નર્મદા જીવંત થઈ વહેવા લાગી છે. જેના કારણે ચાંદોદ સહિતના કિનારા વાસીઓ, આવનાર શ્રદ્ધાળુઓ, નર્મદાજીના મુખ્ય પ્રવાહ સાથે સંકળાયેલા નાવિક શ્રમજીવીઓ માં આનંદની લાગણી જોવા મળી છે.
ત્યારે કાયમ માટે પાણીનો પૂરતો પ્રવાહ જળવાઈ રહે તેઓ સૌ આશાવાદ સેવી રહ્યા છે. નર્મદા સરોવર દ્વારા નર્મદાજીમાં પાણીનો પૂરતો પ્રવાહ નહીં છોડવાના કારણે નર્મદાજીમાં પાણી છીછરા થતા નર્મદાજી મૃત સમાન સૂકીભઠ્ઠ બની હતી. જેને કારણે નર્મદા સ્નાન તથા વિધિવિધાન અર્થે આવતા શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ રહી હતી. વળી નદી કિનારા ના નાવિકો પણ બેકાર બન્યા હતા. આમ નર્મદાજી સુખી ભટ્ટ બનતા બેકારીનો પ્રશ્ન પણ પેચીદો બન્યો હતો.
પીવાના પાણીની સમસ્યા દિનપ્રતિદિન વિકટ બનતી રહી હતી
તો વળી ભરૂચ પાસે નર્મદા નદીના પાણી ન પહોંચતા નર્મદાજી નો પટ સુકો બનવાની સાથે દરિયાના પાણી છેક આગળ સુધી આવી જતા સુકા ભટ્ટ નર્મદા ના તટ પર ખારાશ વધી હતી. જેથી બેરોજગારી સહિત પીવાના પાણીની સમસ્યા દિનપ્રતિદિન વિકટ બનતી રહી હતી. ત્યારે આગામી દિવસોના ગંભીર પરિણામોને લઇને ભરૂચના માછીમારો દ્વારા લોહી લખેલ આવેદનપત્ર પણ સંલગ્ન ખાતાને મોકલાતા તથા વિવિધ સંબંધ કર્તાઓને તે અંગેની સમિતિની કાર્યવાહી બાદ નોટિસો પણ પાઠવવામાં આવી હતી. ત્યારે આવી તમામ સ્તરની રજૂઆતોને પગલે નર્મદા ડેમમાંથી 1500 ક્યૂસેક પાણી છોડાતા કાંઠા કિનારાના રહીશોમાં આનંદની લાગણી સાથે અવિરતપણે નર્મદાજીમાં પાણીનો પૂરતો પ્રવાહ જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે.
હાલ હવે ચોમાસું માથે છે અને આગામી 4 જૂનથી દસ દિવસ સુધી તીર્થક્ષેત્ર ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે યોજાનાર પારંપરિક ગંગા દશાહરા મહોત્સવ માં સાયંકાળે યોજાતી દિવ્ય આરતી સહ નર્મદા સ્નાનનો લાભ લેવા દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ રોજબરોજ પધારશે. ત્યારે જો નર્મદાજીનો પ્રવાહ અસ્ખલિત રીતે વહેતો રહેશે તો શ્રદ્ધાળુઓ બોટિંગના લાભ સાથે આસપાસના ધાર્મિક સ્થળોની પણ હોડી મારફતે મુલાકાત લઇ શકશે.