રાજ્યની જીવાદોર નર્મદા નદી ગાંડીતુર બની છે. નર્મદા નદી ભયજનક સપાટીથી પણ ઉપર વહેવા લાગી છે. જેના કારણે નીચાણવાળા અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. ભરૂચનું દાંડિયા બજાર પાણીમાં સમાઈ ગયું છે. જેના કારણે વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખવાનો વારો આવ્યો છે. ભૃગુ ઋષિ મંદિરથી દાંડીયા બજાર સુધીનો સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે. જેના કારણે નદીમાં કોઈ બજાર હોય તેવા હાલ થયા છે. તો નર્મદા નદીમાં પાણીની અધધ આવકને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. કાંઠા વિસ્તારમાં રહેલા લોકો તરાપાના સહારે પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. રોડ પર જ્યાં વાહનો દોડતા હોય ત્યાં હાલ તરાપા દોડી રહ્યા છે અને તરાપાના સહારે જ લોકો અવર જવર કરી રહ્યા છે.