છેલ્લા બે દિવસમાં 7 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું
ઉપરવાસમાંથી ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા કરનાળી, ચાંદોદ અને નાંદેરિયા સહિતના ગામોને એલર્ટ કરી દેવાયા છે. ચાંદોદ મહાલરાવ ઘાટના 81 પગથિયાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે. તમને જણાવી દઇએ કે, છેલ્લા બે દિવસમાં 7 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું છે. તલાટી કમ મંત્રીઓને પણ ગામમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. એકાએક નદીમાં પાણીનું સ્તર વધતા નદી કિનારે રહેતા પરિવારોને સ્થળાંતર કરાશે.
નર્મદા ડેમના 23 દરવાજાઓ ખોલી નાખવામાં આવ્યા
મહત્વનું છે કે, ઉપરવાસમાંથી ડેમમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે. આથી, નર્મદા ડેમના 23 દરવાજાઓ 3.05 મીટર સુધી ખોલી નાખવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે નર્મદા ડેમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાશે. રીવરબેડ પાવરહાઉસમાંથી 6 યુનિટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આથી, રીવરબેડ પાવરહાઉસમાંથી પણ 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે.
રાજ્યમાં આજે 82 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી
નોંધનીય છે કે, આજ રોજ સવારના 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં 82 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ પાટણના સરસ્વતીમાં 2.5 ઈંચ વરસાદ, પાટણમાં સવા 2 ઈંચ, મહેસાણામાં 2 ઈંચ, રાધનપુરમાં 2 ઈંચ, વિસનગરમાં પોણા 2 ઈંચ, વડનગરમાં 1.5 ઈંચ, સાંતલપુરમાં 1.5 ઈંચ, મેઘરજમાં સવા ઈંચ, સંતરામપુરમાં 1 ઈંચ, મોડાસામાં 1 ઈંચ અને સિદ્ધપુરમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.
આજથી પાંચ દિવસ ગુજરાતમાં સારા વરસાદની આગાહી
આજે વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, 'રાજ્યમાં આજે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસશે.' પાંચ દિવસ સુધી ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
માઉન્ટ આબુમાં ભારે વરસાદના કારણે બનાસ નદીમાં વધી પાણીની આવક
બીજી બાજુ રાજસ્થાનમાં માઉન્ટ આબુમાં ભારે વરસાદના કારણે આબુ રોડ બેટમાં ફેરવાયો છે એમ કહીએ તો પણ કંઇ ખોટું નથી. આથી, વરસાદના કારણે માઉન્ટમાં ઝરણાંઓ વહેતા થયા છે. તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસ નદીમાં પાણીની આવક પણ વધી છે. દાંતીવાડા ડેમમાં પાંચ હજાર ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે.