ભરૂચ વાસીઓએ પાવન સલીલા માં નર્મદા નદી અસ્તિત્વ ગુમાવી દેતા હજારો માછીમાર, ખેડૂતો, પશુપાલકો બેરોજગાર બનવા સાથે માં નર્મદાને બચાવવા માટે માછીમાર સમાજના લોકોએ પોતાના લોહીથી પત્ર લખી મુખ્યમંત્રીઓ તથા પ્રધાનમંત્રીને પત્ર જીલ્લા કલેક્ટરના માધ્યમથી મોકલવામાં આવ્યો હતો.
નર્મદાના પાણી પર ગુજરાતને લીલુછમ બનાવવાની વાતો તો ખુબ થાય છે. પરંતુ નર્મદા નદી ખારીભટ્ટ બની રહી છે. મીઠા પાણીમાં ખાર જામતો જઈ રહ્યો છે. તે તરફ ન તો સરકાર ધ્યાન આપી રહી છે કે ન તો સરકારનું તંત્ર. ખાસ કરીને ભરૂચની પાસે જ્યાં નર્મદા નદી દરિયો બની ગઈ છે. ભરૂચના જાગેશ્વરથી ઝનોર સુધીના નર્મદા પટમાં દરિયાના પાણી ફરી વળ્યાં છે. દ્રશ્યોને જોતા એવું લાગી રહ્યું છે જાણે નર્મદા સફેદ રણ બની ગઈ છે.
ત્યારે હવે માં નર્મદાને બચાવવા ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને પોતાના લોહીથી પત્ર લખવા પડી રહ્યા છે. સરકારને ઊંઘમાંથી ઉઠાવવા માટે આજે કેટલાક માછીમારોએ પોતાના લોહીથી સરકારને તો પત્ર લખ્યો જ છે. ગુજરાતના મુખ્યમંત્રી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી મોદીને પણ પોતાના લોહીથી પત્ર લખી નર્મદામાં પાણી છોડવા માગ કરી છે.
માછીમારો અને ખેડૂતોએ માં નર્મદાને બચાવવા માટે આંદોલન પણ શરૂ કર્યું છે. ત્યારે જોવાનું એ રહેશે કે, ખેડૂતો, માછીમારો અને પશુપાલકોને જે નર્મદા નામશેષ થતી દેખાઈ રહી છે તે તરફ ગાઢ નિંદ્રામાં પોઢી રહેલી સરકારનું ધ્યાન ક્યારે જાય છે.
નર્મદા નદી લુપ્ત થવાના કારણે બેરોજગાર બનેલા 35 હજારથી વધુ માછીમારોની સ્થિતિ દયનિય બનતા નર્મદા નદીને પુનઃ બે કાંઠે વહેતી કરવા માટે માછીમાર સમાજ દ્વારા આંદોલનો કરાયા, આવેદન પત્રો અપાયા છતાં પણ સરકાર ન જાગતા આખરે માછીમાર સમાજે નર્મદા નદી ને જીવંત કરવા માટે પોતાના લોહીથી પ્રાર્થના પત્ર લખવાની ફરજ પડી.