રાજ્યમાં સૌથી વધુ માતા અને બાળકોનું મરણ થઇ રહ્યું છે,જેના તારણમાં મેડિકલ ઓફિસરો અને કર્મચારીઓ નિયમિત આરોગ્ય કેન્દ્ર પર હાજર ન રહી સેવા નિયમિત નહિ બજાવવાતા હોવાનું નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારીએ કાઢ્યું હતું. જને લઇને આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાતાં ફરજ પરના મેડિકલ ઓફસરો સહિત આરોગ્ય કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યાં હતા.
નર્મદા જિલ્લાની આરોગ્ય ટીમોએ વિવિધ સ્થળો પર આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું
ચેકિંગ દરમિયાન મેડિકલ ઓફિસર- આરોગ્ય કર્મચારીઓ ફરજસ્થળ પર ગેરહાજર જોવા મળ્યા
મેડિકલ ઓફિસર અને કર્મચારીઓમાં જોવા મળ્યો ફફડાટ
નર્મદા જિલ્લામાં આરોગ્ય અધિકારી આરોગ્ય કેન્દ્ર પર ફરજ દરમિયાન હાજર ન રહેતા હોવાની ફરિયાદ વચ્ચે નર્મદા જિલ્લાની આરોગ્ય ટીમોએ વિવિધ સ્થળો પર આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન 5 જેટલા મેડિકલ ઓફિસર અને 10 થી વધુ આરોગ્ય કર્મચારીઓ પોતાના ફરજસ્થળ પર ગેરહાજર જોવા મળ્યા હતા.
નોંધનિય છે કે, રાજ્યમાં નર્મદા જિલ્લામાં વધુ પ્રમાણમાં માતા અને બાળકોનું મરણ થઇ રહ્યું હોવાના આંકડા સામે આવ્યાં છે. માતા અને બાળમરણનું કારણ આરોગ્ય કેન્દ્રમાં અધિકારીની ફરજ પ્રત્યેની બેદરકારી અને ફરજ દરમિયાન હાજર ન રહેતા હોવાનું સામે આવ્યું છે.
જેના પગલે જિલ્લા આરોગ્ય ટીમે અચાનક જ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇને તપાસ કરી હતી. ચેકિંગ દરમિયાન મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, લેબ ટેક્નિશિયન, મેઇલ સુપરવાઈઝર, ફિમેલ સુપરવાઈઝર, મેઇલવર્કર, ફિમેઇલ વર્કર અને ફાર્માશિષ્ટને નોટિસ ફટકારવામાં આવી છે.
જિલ્લાના બોરીયા, બૂંજેઠા, જેસલપોર, નવા વાઘપરા અને ગંગાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, લેબ ટેક્નિશિયન, મેલ સુપરવાઈઝર, ફિમેલ સુપરવાઈઝર, મેલવર્કર, ફિમેલવર્કર અને ફાર્માશિષ્ટને તથા ગોરા(બોરીયા)ના સીએચઓ અને મેલવર્કરને નોટિસ અપાઈ છે.
નર્મદા જિલ્લામાં માતા-બાળ મરણ રાજ્યના અન્ય જિલ્લાઓ કરતાં વધુ હોવાનું ખુદ જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્વીકાર્યું હતું. ત્યાર બાદ રિઝલ્ટ સુધારવા અને યોગ્ય કામગીરી કરવા જિલ્લાના આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવતાં તબીબી અધિકારીઓ અને કર્મચારીઓને હેડ ક્વાર્ટર પર ફરજીયાત રહેવાનો હુકમ કરાયો તેમ છતાં જો સુધારો નહિ જોવા મળે તો જેતે મેડિકલ ઓફિસર અને કર્મચારીઓ સામે ડીડીઓ સખ્ત પગલાં ભરશે જે બાબતે કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.