ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમે ફરી ઐતિહાસિક સપાટી પાર કરી છે. હાલમાં ડેમમાં 132 મીટરની સપાટી સુધી પાણી ભરાયું છે. જો કે સરદાર સરોવર ડેમ 139 મીટરની સપાટી સુધી ભરી શકાય તેમ છે. પરંતુ 131 મીટર પછી નવું બાંધકામ હોવાથી તબક્કાવાર ભરાઈ રહ્યો છે.
અત્યાર સુધી 131 મીટર સુધી જ ડેમમાં પાણી સંગ્રહિત કરી શકાતું હતું. ત્યારે હવે આગળના 1 મહિનામાં નર્મદા ડેમને 139 મીટર સુધી ભરવાનું આયોજન છે. ત્યારે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હજુ વરસાદ પડે તો નર્મદા ડેમ 139 મીટર સુધી ભરાશે.
થોડા દિવસો અગાઉ નર્મદા ડેમની જળસપાટી 131 મીટરે વટાવી જતાં 25 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ફરી પાણીની આવક થતાં ડેમના 8 દરવાજા ખોલાયા હતા. સરદાર સરોવર ડેમ છલકાંતા ગુજરાત સરકારમાં પણ નવો જીવ આવ્યો હોય તેવું લાગે છે. કારણ આવનાર વર્ષમાં રાજ્યના કોઈ પણ જિલ્લાને પાણીની સમસ્યા નહીં નડે. ઉપરાંત શિયાળું પાક માટે રાજ્ય ભરના ખેડૂતોને નહેરો દ્વારા પાણી પણ મળશે.