પાણી માગવા ગયેલા ખેડૂતોને પાટણના નાયબ એન્જિનિયરે ધમકાવ્યાનો વીડિયો સામે આવ્યો છે. રાધનપુર નર્મદા નિગમમાં કેનાલોમાં પાણી છોડવા માટે રજુઆત કરવા ગયેલા સૂઈગામ પંથકના ખેડૂતોને અધિકારી નર્મદાના ના.કાર્યપાલક ઈજનેર એચ.પી.પટેલે ઉડાઉ જવાબ આપતાં આટલી કેનાલો તૂટી છાપાવાળાઓએ શું બગાડી લીધું છે. તેમ કહી ધુત્કારતાં ચકચાર મચી છે.
17 જુલાઈએ રજૂઆત કરવા ગયેલા ખેડૂતોએ અધિકારીઓનો વીડિયો વાયરલ કરી દીધો હતો. 17 જુલાઈએ સુઇગામ તાલુકાના ગરાંમડી ગામના કેટલાક ખેડૂતો રાધનપુર ખાતે નર્મદા નિગમની ઓફિસે કેનાલોમાં પાણી છોડવાની રજુઆત કરવા ગયેલા જ્યાં નર્મદાના ના.કાર્યપાલક ઈજનેર એચ.પી.પટેલની ચેમ્બરમાં જઈ પાણી છોડવાની રજુઆત કરતાં ખેડૂતો પૈકીના કોઈએ પત્રકારને બોલાવવાની વાત કરતાં જ ભડકી ગયા હતા અને મીડિયા વિરુદ્ધ એલફેલ બોલવાનું અને ખેડૂતોને ધમકાવવાનું ચાલુ કર્યું હતું.
ત્યારે નર્મદા નિગમના અધિકારીના આ વર્તનને લઇ સવાલો ઉઠી રહ્યા છે કે, પાણી માટે ગયેલા લોકોને દબડાવતા અધિકારીઓને કોણ ઠંડા કરશે. લોકો પોતાના કામ માટે સરકાર પાસે ન જાય તો કોની પાસે જાય? અને મીડિયાની વાત સામે આવતા નાયબ એન્જિનિયર એચ.પી. પટેલ કેમ ડરી ગયા? શું જનતા મીડિયાને પોતાની ફરિયાદ પણ ન કરી શકે?