ભાવનગરઃ લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે. ત્યારે સરકારે શક્ય તેટલા વિકાસકામોની શરૂઆત કરીને પ્રજાને રાજી કરવાનું જાણે કે અભિયાન આદરી દીધું છે. રાજ્ય સરકાર અને વિવિધ મનપાના શાસકોએ વિકાસકાર્યોના ખાતમુહૂર્તો શરૂ કરી દીધા છે. ભાવનગરના નારીથી દેસાઈનગર સુધીના સિક્સ લેનનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું તો કોંગ્રેસે આક્ષેપો શરૂ કરી દીધા છે.
ઉતાવળે આરંભતા કામો અને આક્ષેપોના વિકાસ....
લોકસભા ચૂંટણી આડે હવે માત્ર ત્રણ મહિના બાકી રહ્યા છે. ત્યારે ભાજપ સરકાર શાસિત નગર પાલિકાઓએ વિકાસ કાર્યો તેજ કરી દીધા છે. કેમ કે તેમને ખબર છે કે ચૂંટણી જીતવા માટે વચન કરતાં દેખાતા વિકાસ કાર્યો જ વધારે કારગત નીવડે છે. એટલે જ ભાવનગર મહાનગર પાલિકા અને રોડ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ભાવનગર-રાજકોટ રોડ પર દેસાઈનગરથી નારી ચોકડી સુધી સિક્સ લેન રોડનું ખાતમુહૂર્ત કરી નાખવામાં આવ્યું છે. રૂ.30.23 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ વિકાસકામનું ખાતમુહૂર્ત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના હસ્ત કરવામાં આવ્યું.
આ રોડ ઉપર ઔધોગિક વસાહત આવેલી છે તેમજ શહેરનો મુખ્ય પ્રવેશમાર્ગ પણ છે. આ ઉપરાંત અહીં હીરાના કારખાનાઓ પણ આવેલા છે. આ રોડ ઉપરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. આ રોડને સિક્સ લેન બનાવવા માટે ખાતમુહૂર્ત તો કરવામાં આવ્યું પરંતુ વિપક્ષ દ્વારા અનેક સવાલો કરવામાં આવ્યા છે.
કોંગ્રેસનો આક્ષેપ છે કે ખાતમુહૂર્ત ઉતાવળે કરવામાં આવ્યું છે. કેમકે રોડ માટે કરવી પડતી જમીન સંપાદન કરવાની જવાબદારી કોની તે પણ સવાલ છે. અહીં જે જમીન સંપાદન કરવાની છે તેને વળતર કેમ ચુકવાશે તેનો પણ કોઈ અભ્યાસ કરવામાં આવ્યો નથી. માર્ગમાં અનેક દબાણ થયેલા છે તે પણ હટાવવામાં આવ્યા નથી. ત્યારે આ રોડ ક્યારે બનશે તે પણ મનપાએ જાહેર કરવું જોઈએ તેમ કોંગ્રેસનું કહેવું છે.
ભાવનગરમાં મનપા દ્વારા આમ તો પ્રથમ વખત જ સિક્સ લેન રોડ બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ ભાવનગરમાં જે પ્રકારે ટ્રાફિકની સમસ્યા છે. તે જોતા સિક્સલેનની સાથે ઓવરબ્રિઝ બનાવવાની પણ જરૂરિયાત છે. પરંતુ મનપાના શાસકો આ કામમાં પણ ઉણા ઉતર્યા છે. ત્યારે સિક્સ લેન હાઈવે બાબતે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે જમાયણ સંપાદનની થોડી પ્રક્રિયા બાકી છે તે ઝડપથી ઉકેલવામાં આવશે અને 33 કરોડના ખર્ચે તૈયાર થનારા આ માર્ગનું કામ 18 માસમાં પૂર્ણ કરવામાં આવશે.
વિકાસકાર્યો જરૂરી છે. માળખાગત સુવિધાઓનો વિકાસ પણ જરૂરી છે. પરંતુ તેમાં જ્યારે ચૂંટણીલક્ષી ઈરાદો ભળી જાય છે. ત્યારે આવા કામોની ગુણવત્તા જળવાતી નથી. કેમકે આવા વિકાસકાર્યોનું ચૂંટણી પહેલા લોકાર્પણ કરી દેવાની નેતાઓની ઘેલશા વિકાસ કામને બોદાં બનાવી નાખે છે.