નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશની ચર્ચાઓ વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, નરેશ પટેલ ખોડલધામનું ચેરમેન પદ છોડી શકે છે,
નરેશ પટેલને લઈને મહત્વના સમાચાર
નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી નિશ્ચિત
ખોડલધામનું ચેરમેન પદ છોડી શકે છે નરેશ પટેલ
હાલ ગુજરાતની રાજનીતિમાં અનેક મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે તેમાંનો એક નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગેનો છે. નરેશ પટેલ કોઈ રાજકીય પક્ષમાં જોડાય તે પહેલા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી નિશ્ચિત છે કારણ કે નરેશ પટેલ ખોડલધામના ચેરમેન પદેથી રાજીનામું આપી દે તેવી શક્યતાઓ છે.
નરેશ પટેલ ખોડલધામના ચેરમેન પદેથી આપશે રાજીનામુંઃ સૂત્ર
નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશતા પહેલા ખોડલધામ છોડશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, નરેશ પટેલ ખોડલધામના ચેરમેન પદેથી રાજીનામું આપશે. નરેશ પટેલના સ્થાને દિનેશ કુંભાણી ખોડલધામના ચેરમેન બને તેવી શક્યતાઓ છે. દિનેશ કુંભાણી નરેશ પટેલની નજીકના વ્યકિત છે.
ખોડલધામના ટ્રસ્ટીઓએ તર્ક આપ્યો
બીજી તરફ ખોડલધામના ટ્રસ્ટીઓનો વિપરીત મત છે. ખોડલધામના ટ્રસ્ટીઓએ તર્ક આપ્યો છે. જો બાબુ જમના પટેલ ઉમિયાધામના પ્રમુખ બની શકે તો નરેશ પટેલ ખોડલધામના ચેરમેન કેમ ન રહે. જો કે સમગ્ર મુદ્દે નરેશ પટેલનો નિર્ણય આખરી રહેશે.
આજે નરેશ પટેલ કોઈ નિર્ણય નહીં લેઃ હસમુખ લુણાગરીયા
આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ પહેલાં ખોડલધામની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં તમામ ટ્રસ્ટીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. નરેશ પટેલ 15 દિવસ માટે જર્મની જતા હોવાની શક્યતા છે. નરેશ પટેલ વિદેશગમનની તૈયારી કરી રહ્યા છે. નરેશ પટેલના રાજકીય પ્રવેશ માટે હજુ રાહ જોવી પડી શકે છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયાએ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે કહ્યું કે, આજે નરેશ પટેલ કોઈ નિર્ણય નહીં લે. ટ્રસ્ટની કમિટી રચાશે ત્યારબાદ નરેશ પટેલ નિર્ણય લેશે.
હવે એપ્રિલ મહિનામાં રાજકારણમાં પ્રવેશ અંગે લેશે નિર્ણય: સૂત્ર
સૂત્રોના જણાવ્યા પ્રમાણે નરેશ પટેલે હવે એપ્રિલ મહિનામાં રાજકારણમાં પ્રવેશ અંગે નિર્ણય લેશે. આ અગાઉ 20થી 30 માર્ચ સુધીમાં નિર્ણય જાહેર કરવાની વાત કરી હતી. પરંતુ બિઝનેસના કામોમાં વ્યસ્તતાના કારણે નિર્ણયમાં વિલંબ થયો છે. જો કે, થોડા દિવસોમાં મોટી સભા બાદ નિર્ણય જાહેર કરી શકે છે.
નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તેવા પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા
બીજી તરફ પ્રાપ્ત વિગતો અનુસાર નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની બેઠક થઈ ગઈ છે. નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવાની એક શરત મૂકી છે કે પ્રશાંત કિશોરને કેમ્પેઇનિંગ સોંપવામાં આવે. ગુજરાત બહાર બંને વચ્ચે સમગ્ર રણનીતિ મામલે બેઠક પણ થઈ ગઈ છે. તો બીજી તરફ નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં રાહુલ ગાંધીને મળી ચૂક્યા છે. જેમાં પ્રશાંત કિશોરને ગુજરાતના ચૂંટણી પ્રચારના કેમ્પેઇનિંગની જવાબદારી સોંપવામાં આવે તે બાબતે પણ ચર્ચા થઈ છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની એક સાથે ગુજરાત કોંગ્રેસમાં એન્ટ્રી થશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.
નરેશ પટેલ હજુ સુધી કોઈ પાર્ટીમાં જોડાયા નથી
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ નરેશ પટેલને પોતાના પક્ષમાં લેવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. એવા નિવેદન પણ આપી રહ્યા છે કે તેઓ અમારી પાર્ટીમાં જોડાશે. તો કોઇ નેતા તેમના પર કટાક્ષ પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ તરફથી હજુ સુધી કઈ પાર્ટીમાં જોડાવાના છે તેની કોઈ સ્પષ્ટ જાહેરાત નથી થઈ. નરેશ પટેલે કહ્યું હતું કે રાજકારણમાં જોડાવાનો હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો. પણ હા સમાજને પૂછીને કોઈ નિર્ણય લેવામાં આવશે. નરેશ પટેલ સમાજને પૂછીને કોઇ પક્ષમાં જોડાશે તેવું ભણી રહ્યા છે. તો કેટલાક પાટીદાર સમાજના અગ્રણીઓ નરેશ પટેલ પર આક્ષેપો પણ લગાવી રહ્યા છે કે તેઓ સમાજને હાથો બનાવી રહ્યા છે. તેવામાં હવે તે એપ્રિલ મહિનામાં કોઇ નિર્ણય લેશે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.