ગઈકાલે મંગળવારે યુપીમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે નરેશ પટેલે મુલાકાત કરી હોવાની પણ ચર્ચા છે.
આજે રાજકોટની મીડિયા સાથે કરશે ગેટ ટુ ગેધર
ગઈકાલે જર્મનીથી વાયા યુપી થઈને નરેશ પટેલ પહોંચ્યા હતા રાજકોટ
રાજકિય પ્રવેશને લઈ જાહેરાતની શક્યતા
ગુજરાતના રાજકારણમાં છેલ્લાં કેટલાંય સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઇને ચાલતી અટકળોનો આવતી આજે અંત આવે તેવી શક્યતા છે. તાજેતરમાં જ નરેશ પટેલને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે કે નરેશ પટેલ રાજકીય પ્રવેશને લઇને મોટી જાહેરાત કરી શકે છે. કારણ કે, નરેશ પટેલે આજે મીડિયાને આમંત્રિત કર્યું છે. મીડિયાને આમંત્રિત કરાતા નરેશ પટેલ રાજકીય પ્રવેશને લઇને જાહેરાત કરશે તેવી અટકળો તેજ થઇ ગઇ છે.
આનંદીબેન પટેલની સાથે મુલાકાત કરી હોવાની ચર્ચા
નરેશ પટેલ ગઈ કાલે મોડી રાત્રે સીધા જર્મનીથી વાયા યુપી થઈને મુંબઈ પહોંચ્યા હતા જ્યાંથી તેઓ રાજકોટ આવ્યા હતા. યુપીમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હોવાની ચર્ચા થઈ રહી છે. તેવા આજના મીડિયા સાથેના ગેટ ટુ ગેધરમાં નરેશ પટેલ આખરે રાજકારણમા જોડાશે કે કેમ? અને જોડાશે તો કઈ પાર્ટીમાં જોડાશે તેના પર સૌ કોઈ મીટ માંડી બેઠું છે. નરેશ પટેલ લેઉવા પાટીદાર સમાજનો મોટો ચહેરો છે તે ગમે તે પાર્ટીમાં જોડાય તેનો સીધો ફાયદો ચૂંટણીમાં થશે તેવુ રાજકીય પંડિતો માની રહ્યા છે.
નરેશ પટેલ પોતે જ પોતાનો નિર્ણય જાહેર કરશે: કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા
એ સિવાય તાજેતરમાં જ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ નરેશ પટેલને લઇને મહત્વનું નિવેદન આપ્યું હતું. આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'આ અંગેનો જવાબ હું નહી આપી શકું. નરેશ પટેલ પોતે જ પોતાનો નિર્ણય જાહેર કરશે. નરેશ પટેલ સાથે ઘણી ચર્ચા કરી છે.'
રાજકારણમાં જોડાય તો કોંગ્રેસના સંમેલનમાં નરેશ પટેલ ખેસ પહેરે તેવી સંભાવના
છેલ્લાં કેટલાંય સમયથી નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઇને અટકળો ચાલી રહી છે. જેની વચ્ચે રાજકોટમાં આગામી 10 થી 15મી જૂન વચ્ચે કોંગ્રેસનું સંમેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલનમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી હાજર રહે તેવી સંભાવના છે.બીજી તરફ કોંગ્રેસના આ મહાસંમેલનમાં ખોડલધામાના ચેરમેન નરેશ પટેલ ભાગ લઈને કોંગ્રેસનો ખેસ પહેરશે તે અંગેની ચર્ચાઓ જોર પકડ્યું છે. નરેશ પટેલ સાથે સમર્થકો પણ કોંગ્રેસનો ખેસ પહેરી શકે છે.
ગુજરાતના રાજકારણમાં નવાજુની કરવાના મૂડમાં
સૂત્રોના જણાવ્યા અનુસાર નરેશ પટેલની રાહુલ ગાંધી સાથે મુલાકાત પણ થઈ ગઈ છે. અને મોટા કમિટમેન્ટ સાથે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ તેવી શકયતા હવે વધારે દેખાઈ રહી છે. દેખીતી રીતે નરેશ પટેલના નિર્ણય બાદ સૌરાષ્ટ્ર ભાજપના મોટા નેતાઓ પણ મોટો નિર્ણય લેશે. નરેશ પટેલ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે સૌરાષ્ટ્ર ભાજપના મોટા નેતાઓના સંપર્કમાં પણ હોવાના સમાચાર મળી રહ્યા છે. તો સામે ભાજપના મોટા નેતાઓ પણ સતત તેઓનો સંપર્ક કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં કેટલો મોટો ભૂકંપ સર્જાશે અને કેવી નવાજૂની થશે એ તો આવનારો સમય જ કહેશે.