ઘણા દિવસથી નરેશ પટેલને લઈને અનેક અટકળો ચાલી રહી છે ત્યારે હવે તેમનું કોંગ્રેસમાં આગમન નક્કી થયું હોવાની VTVને માહિતી મળી છે, પ્રશાંત કિશોરને કોંગ્રેસ પ્રચારની કમાન સોંપવા જઈ રહી છે.
ગુજરાતનાં રાજકારણ સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ
PK અને નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી ફિક્સ
રાહુલ ગાંધી સાથે નરેશ પટેલે કરી ટેલિફોનિક વાતચીત
થોડા દિવસોમાં રાજ્યમાં મોટા એલાનની તૈયારી
2022નું વર્ષ એટલે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીનું સેમિફાઇનલ યર, યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણી સંપન્ન થઈ છે ત્યારે દેશની રાજકીય પાર્ટીઓનું ધ્યાન હવે ગુજરાત પર કેન્દ્રીત થયું છે ત્યારે ચૂંટણી પહેલા છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી એક જ ચર્ચા રાજ્યમાં ચાલી રહી છે કે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ કોના? અનેક અટકળો બાદ હવે નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી પાક્કી છે તેવું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે.
ઘણા દિવસથી PK ની હતી ચર્ચા
થોડા દિવસ પહેલા જ એવા સમાચાર આવ્યા હતા કે પ્રશાંત કિશોરને ગુજરાતમાં કોંગ્રેસનું કેમ્પેન કરવાની ઈચ્છા છે. તેમણે રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે બેઠક પણ કરી હતી ત્યારે કોંગ્રેસમાં એક બાદ એક અનેક બેઠકો બાદ આખરે રાહુલ ગાંધીએ PKને ગુજરાત પ્રચારની કમાન સોંપવાનો નિર્ણય ફાઇનલ કર્યો હોવાનું સૂત્ર તરફથી સામે આવી રહ્યું છે. ખાસ વાત છે કે PKની ગુજરાત કોંગ્રેસમાં એન્ટ્રીથી નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જ જશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
નરેશ પટેલની શરત પૂરી
નોંધનીય છે કે નરેશ પટેલ અને પ્રશાંત કિશોર વચ્ચે પહેલા પણ મુલાકાત થઈ ચૂકી છે અને નરેશ પટેલે કોંગ્રેસ સામે પણ પાર્ટીમાં જોડાવવા માટે શરત મૂકી હતી કે જો PKને પ્રચાર સોંપવામાં આવે તો જ તેઓ કોંગ્રેસમાં આવશે. એવામાં આ શરત હવે રાહુલ ગાંધી પૂરી કરવા જઈ રહ્યા છે.
નરેશ પટેલ અને રાહુલ ગાંધીએ ફોન પર કરી વાતચીત
નરેશ પટેલ તથા પ્રશાંત કિશોરને લઈને દિલ્હીમાં અનેક બેઠકો બાદ આખરે જ્યારે બંને કોંગ્રેસમાં આવી રહ્યા છે ત્યારે મંગળવારે પણ રાહુલ ગાંધી અને નરેશ પટેલ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં નરેશ પટેલે પોતાની શરતો અને ઈચ્છાઓ રાહુલ ગાંધીને જણાવી હતી.
પદ પણ નક્કી!
નરેશ પટેલ હાલમાં ખોડલધામના ચેરમેન છે અને ખોડલધામ લેઉઆ પટેલ સમાજમાં જોરદાર પ્રભુત્વ ધરાવે છે. લાખો લોકો પર નરેશ પટેલની પકડ છે ત્યારે જો તેમની એન્ટ્રી કોઈ પાર્ટીમાં થાય તો પદ વગર તો થાય નહીં. જ્યાં એક બાજુ પ્રશાંત કિશોર સમગ્ર પ્રચાર કઈ રીતે કરવું તે સ્ટ્રેટેજી બનાવશે ત્યારે નરેશ પટેલને કેમ્પેન કમિટીના ચેરમેન બનાવવામાં આવશે. એવામાં આગામી ચૂંટણી હવે વધુ રસપ્રદ બની જશે તે નિશ્ચિત છે.