કોંગ્રેસ વધુ તૂટે તે પહેલાં જ નરેશ પટેલ એક્શનમાં આવી ગયા છે. હાર્દિક બાદ તેઓ હવે અન્ય નારાજ નેતાઓ સાથે પણ બેઠક કરી શકે છે.
કોંગ્રેસથી નારાજ નેતાઓને નરેશ પટેલ દ્વારા મનાવવાનું શરૂ
નરેશ પટેલે રાજકોટમાં હાર્દિક પટેલ સાથે કરી હતી મુલાકાત
આગામી સમયમાં અન્ય નારાજ નેતાઓ સાથે કરી શકે છે બેઠક
છેલ્લાં કેટલાંય સમયથી નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ કયા પક્ષમાં તે હજુ સુધી નક્કી નથી. હજુ તો રાજકારણમાં એન્ટ્રી મારે એ પહેલાં જ કોંગ્રેસને લઇને નરેશ પટેલની ચિંતા વધી ગઇ છે. ત્યારે હવે હાર્દિક બાદ નરેશ પટેલ આગામી સમયમાં અન્ય નારાજ નેતાઓ સાથે પણ મહત્વની બેઠક કરી શકે છે.
મહત્વનું છે કે, કોંગ્રેસથી કથિત રીતે નારાજ ચાલતા હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે રાજકોટમાં ગઇ કાલે 3 કલાક સુધી બંધ બારણે બેઠક યોજાઈ હતી. અત્રે નોંધનીય છે કે, નરેશ પટેલે કોંગ્રેસથી નારાજ નેતાઓને મનાવવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ વધુ તૂટે તે પહેલાં જ નરેશ પટેલ એક્શનમાં આવી ગયા છે. પ્રદેશ કોંગ્રેસને તૂટતી બચાવવા નરેશ પટેલ એક્શનમાં આવી ગયા છે. આ સાથે મે મહિનામાં નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી પણ શક્યતા સેવાઇ રહી છે.
ગત રોજ રાજકોટમાં નરેશ પટેલે હાર્દિક સાથે મુલાકાત કરી હતી
તમને જણાવી દઇએ કે, ગત રોજ રાજકોટમાં નરેશ પટેલે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. ખોડલધામ ખાતે બંને નેતાઓ વચ્ચે 3 કલાક બેઠક ચાલી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ બેઠકમાં કોંગ્રેસની કામગીરી અંગે ચર્ચા થઇ હતી. પ્રદેશ નેતૃત્વ અંગે બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરાઇ હતી. હાર્દિક પટેલે થોડાંક દિવસ અગાઉ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
આથી પ્રદેશ કોંગ્રેસ અને હાર્દિક પટેલ વચ્ચે નરેશ પટેલ મધ્યસ્થની ભૂમિકામાં રહેશે. એવામાં વધુ મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે કે, આગામી સમયમાં નરેશ પટેલ હાર્દિક સિવાય અન્ય નારાજ નેતાઓ સાથે પણ બેઠક કરી શકે છે.
તમને જણાવી દઈએ કે, નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા માટે હાર્દિક પટેલે અનેક પ્રયાસો કર્યા હતા. જેમાં હાર્દિકે જાહેરમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આહ્વાન કર્યુ હતું. પરંતુ ત્યાર બાદ હાર્દિકની કોંગ્રેસ સાથે કથિત નારાજગી હોવાનું સામે આવતા એકાએક નરેશ પટેલ અને હાર્દિક વચ્ચેની આ બેઠકને લઈ અનેક સવાલો પણ ઉઠી રહ્યાં છે કે, શું હાર્દિકે આ બેઠકમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આગ્રહ કર્યો હશે? કે પછી માત્ર સમાજના હિત અંગે જ ચર્ચા વિચારણા કરવામાં આવી હશે?
હાર્દિકે એક બાદ એક કોંગ્રેસ પર કર્યા પ્રહાર
રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે હાર્દિક પટેલે કહ્યું હતું કે, 2017 પછી મારો ક્ષમતા મુજબ ઉપયોગ નથી થયો. પાટીદાર આંદોલનથી કોંગ્રેસને ફાયદો થયો હતો. બીજી તરફ નરેશ પટેલને લઈને કોંગ્રેસના વલણને પણ હાર્દિકે વખોડ્યું હતું.
હાર્દિકે કહ્યું હતું કે, નરેશ પટેલનો પણ તેમની ક્ષમતા મુજબ ઉપયોગ થવો જોઇએ. નરેશ પટેલ પાર્ટીમાં આવે તો તેનો સારી રીતે ઉપયોગ થાય. મારા જેવું નરેશભાઈ સાથે ના થવું જોઈએ. નરેશ પટેલ મુદ્દે કોંગ્રેસ હાઇકમાન્ડ ત્વરિત નિર્ણય લે. નરેશ પટેલને લેવામાં કેમ આટલો વિલંબ થઈ રહ્યો છે તે એક સવાલ. નિર્ણય લેવામાં વિલંબ થતા નરેશ પટેલની છબીને નુકસાન થાય છે.
ત્યારબાદ હાર્દિકે કહ્યું હતું કે, પક્ષમાં મને ખુબ હેરાન કરવામાં આવે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મેં કોંગ્રેસ પર આરોપ નથી લગાવ્યા. અમે જ્યાં છીએ ત્યાથી સાચુ બોલવું જોઈએ. પાર્ટીની વચ્ચે નાની-મોટી નારાજગી હશે. સાચુ બોલવુ ગુનો છે તો મને ગુનેગાર માની શકે છે.
પ્રશાંત કિશોર સંભાળશે ગુજરાત કોંગ્રેસની કમાન
2022 વિધાનસભાની ચૂંટણીનું મોટું અપડેટ સામે આવી રહ્યું છે. પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસનું કેમ્પેઇન કરશે. પ્રશાંત કિશોરને લઇને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ લીલીઝંડી આપી છે. પ્રશાંત કિશોર અંગે ફાઈનલ નિર્ણય અંતે થઇ ગયો છે. પ્રશાંત કિશોરના ગુજરાત કોંગ્રેસ માટે કામ કરવાને લઈ બેઠક પૂર્ણ થઇ છે. દિલ્હીમાં 10 જનપથ ખાતે કોગ્રેસના સિનિયર નેતાઓની બેઠકમાં નિર્ણય લેવાયો છે.
પ્રશાંત કિશોરની એન્ટ્રીથી નરેશ પટેલની પણ કોંગ્રેસમાં એન્ટ્રી નક્કી
બીજી તરફ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાતને લઇને પણ મોટા સમાચાર મળી રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પ્રશાંત કિશોરની એન્ટ્રીથી નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી નક્કી છે. મહત્વનું છે કે, ગુજરાત બહાર નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની પણ બેઠક થઇ ચૂકી છે. નરેશ પટેલ સત્તાવાર આ વાત પણ સ્વીકારી ચૂક્યાં છે.