નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
નરેશ પટેલની રાજકારણમાં પ્રવેશની અટકળો
બે કેન્દ્રીય મંત્રી સાથે થઇ હતી મુલાકાત
ખોડલધામના ટ્રસ્ટીની મધ્યસ્થી
દિલ્હીમાં બે કેન્દ્રીય મંત્રીઓ સાથે નરેશ પટેલની મુલાકાત થઇ હતી. કેન્દ્રીય મંત્રીઓની મુલાકાત ફળીભૂત થાય તેવા સંકેત મળી રહ્યા છે. ખોડલધામના એક ટ્રસ્ટીએ કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરાવી હોવાના સમાચારો પ્રાપ્ત થઇ રહ્યા છે.
ભાજપના મોટા માથાને મળ્યા પાટીદાર નેતા
બેઠકથી નરેશ પટેલના ભાજપમાં પ્રવેશના દ્વાર ખુલ્યા છે. એક કેન્દ્રીય મંત્રી તો ભાજપના રાષ્ટ્રીય હાઇકમાન્ડમાં ગણાય છે. સમગ્ર બેઠક અંગે નરેશ પટેલના અંગત સૂત્રો આ મુલાકાતને સમર્થન આપી રહ્યા છે. નરેશ પટેલનો ભાજપ પ્રવેશ વાયા દિલ્હી હોઇ શકે છે.
યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણી બાદ ગુજરાત પર ભાજપનું ફોકસ
યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણી સંપન્ન થઈ છે ત્યારે દેશની રાજકીય પાર્ટીઓનું ધ્યાન હવે ગુજરાત પર કેન્દ્રીત થયું છે જો કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી એક જ ચર્ચા રાજ્યમાં ચાલી રહી છે કે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ કોના ? અનેક અટકળો ચાલી રહી છે પહેલા AAP પાર્ટીમાં જવાની વાતે જોર પકડયું તે બાદ કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે ચર્ચા અને પ્રશાંત કિશોરની રણનીતિમાં પંજો પકડશે તેવુ નક્કી હતું પણ હવે અકિલાના ન્યૂઝના સૂત્રો મારફતથી મોટી ખબર સામે આવી રહી છે કે નરેશ પટેલ ટુંક જ સમયમાં કેસરીયો કરશે એટલે કે ભાજપમાં જોડાશે.
શું છે અકિલા ન્યૂઝનો દાવો?
છેલ્લા બે-ત્રણ મહિનાથી ગામ ગાંડું કરનાર ટીમ નરેશભાઈ પટેલ અને વિવિધ ચર્ચા, મુલાકાતો, કથિત સર્વે સહિતના કથિત નાટકો બાદ હવે જાણકારોના મત મુજબ નરેશભાઈ પટેલ ભાજપ તરફ સંપૂર્ણપણે ઝુકી ગયાનું અને સંભવત આવતા અઠવાડિયે પોતાનો નિર્ણય જાહેર કરી ટીમ નરેશ પટેલ ભાજપની મદદે આવી જશે તેવા સ્પષ્ટ અહેવાલો મળે છે એમ કહેવાય છે કે મોટા ભાગની ચર્ચા વિચારણા અને બેઠકોનો દોર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને નિર્ણય પર આવતા અઠવાડિયે મંગળ કે બુધવારે લેવાય જાય તેવા નિર્દેશો મળે છે.આગામી ચૂંટણીમાં નરેશભાઈ પટેલ અને મિત્રો સરાજાહેર ભાજપની સાથે આવી જાય તે માટેનું પ્લેટફોર્મ અને ચર્ચા પૂર્ણ થઇ ગઈ હોવાનું ચર્ચાય છે ત્યારે દિલ્હી ખાતે ગઠબંધનનો પ્રસાદ પણ પ્રથમ હરોળના ભાજપના આગેવાનને ત્યાં આરોગાઇ ગયા હોવાના પણ અહેવાલ મળે છે.ગઈકાલે પણ શહેરના સંખ્યાબંધ પત્રકારો તથા મિત્રોએ નરેશ પટેલનું સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમનો ફોન ડાયવટ થયેલો હતો જોકે નરેશભાઈનું લોકેશન ગાંધીનગર આવી રહ્યા હોવાનું મનાતું હતું ગઈકાલે પણ સ્થાનિક ટોચના આગેવાનો સાથે મીટીંગ થયાનું મનાઈ છે.
જાણકારોના મત મુજબ ગુજરાતના રાજકારણને જોરદાર અસર કરતા નિર્ણય માટે હવે કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે અને હવે ટીમ નરેશ પટેલ આગામી અઠવાડીયે ભાજપની સાથે તન-મન-ધનથી અને ખંભેખભા મિલાવી કામ કરવાનો નિર્ણય જાહેર કરશે તેવું નિતિ જણાય છે.
કોંગ્રેસને લાગશે ઝટકો!
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, આ પહેલા અનેકવાર તેઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તેવી અટકળો વહેતી થઈ હતી. જે બાદ કોંગ્રેસના અનેક નેતાઓ ગેલમાં આવી ગયા હતા અને પોતાની સીટ પણ કુરબાન કરી દેવા સુધીના દાવાઓ કરી રહ્યા હતા. જોકે હવે જો નરેશ પટેલ ભાજપમાં જોડાય તો કોંગ્રેસને તમામ પાસા ઉંધા પડતાં દેખાશે.
નરેશ પટેલ કોણ છે?
2008-09માં લેઉઆ પાટીદારોના કુળદેવીનું કાગવડ ખાતે મંદિર બનાવવાના માધ્યમથી નરેશ પટેલ ચર્ચામાં આવ્યા
ખોડલધામ એ લેઉઆ પાટીદાર સમાજની આસ્થા જ નહીં,પરંતુ સામાજિક શક્તિનું પણ કેન્દ્ર
નરેશ પટેલ ખોડલધામના સ્થાપક ટ્રસ્ટી છે
નરેશ પટેલ આ સાથે કેટલીક સામાજિક અને ધાર્મિક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે
2018માં હાર્દિક પટેલે આમરણાંત અનશન કર્યાં, ત્યારે નરેશ પટેલે તેમને પારણાં કરાવ્યાં હતાં
નરેશ પટેલનો જન્મ અને ઉછેર રાજકોટમાં જ થયો છે
નરેશ પટેલે રાજકોટની રાજકુમાર કૉલેજમાં અભ્યાસ કર્યો છે
નરેશ પટેલ પિતા દ્વારા સ્થાપિત બ્રાસપાર્ટ તથા બૉલબેરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે
નરેશ પટેલની કંપની વિદેશમાં પણ નિકાસ કરે છે
નરેશ પટેલ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની નજીકના છે