ભાજપના 27 વર્ષના શાસન વિશે નરેશ પટેલે આપ્યું મોટું નિવેદન
27 વર્ષના શાસનમાં લોકોની નારાજગી હોવી તે તો સ્વાભાવિક છે: નરેશ પટેલ
નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશની અટકળોનો આજે અંત આવ્યો છે. નરેશ પટેલે આજે જાહેરાત કરતાં જણાવ્યું કે, 'રાજકારણમાં પ્રવેશનો નિર્ણય હાલ પૂરતો હું મોકૂફ રાખું છું.'તદુપરાંત તેઓએ ભાજપના 27 વર્ષના શાસન વિશે મોટું નિવેદન આપતા જણાવ્યું કે, '27 વર્ષના શાસનમાં એન્ટી ઈન્કબન્સી તો થવાની અને લોકોની નારાજગી હોવી તે તો સ્વાભાવિક છે.'
જો હું કોઈ પાર્ટીમાં જોડાઉ તો દરેક સમાજની ચિંતા ન કરી શકું: નરેશ પટેલ
અત્રે જણાવી દઇએ કે, આજ રોજ નરેશ પટેલે ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, 'રાજકારણમાં પ્રવેશ કરવાનો મારો નિર્ણય હું હાલ પૂરતો મોકૂફ રાખું છું. જો હું કોઈ પાર્ટીમાં જોડાઉ તો એક જ પાર્ટીનો થઈ જાઉં, દરેક સમાજની ચિંતા ન કરી શકું.' વધુમાં જણાવ્યું કે, 'દરેક રાજકીય પક્ષ, સર્વ સમાજના ભાઈ-બહેનો અને મીડિયાનો આભાર માનું છું.'
શિક્ષણ, આરોગ્ય અને ખેતી જેવાં ખૂબ મોટા પ્રકલ્પો ખોડલધામના બાકી રહ્યાં છે: નરેશ પટેલ
નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે, 'વડીલોની ચિંતા, સમાજનું સંગઠન, હું કોઇ પણ પાર્ટીમાં જોડાઉ તો આપ સમજો છો એમ હું કોઇ એક પાર્ટીનો થઇ જાઉં. દરેક સમાજ વચ્ચે રહીને હું કામ ન કરી શકું. ત્યારે વડીલોની ચિંતા મને થોડી યોગ્ય લાગી. ઘણા બધા પ્રકલ્પો જેવાં કે શિક્ષણ, આરોગ્ય અને ખેતી જે દરેક સમાજને સ્પર્શવાના છે. ત્યારે આવા ખૂબ મોટા પ્રકલ્પો ખોડલધામના બાકી રહ્યાં છે ત્યારે આ પ્રકલ્પોને વેગ આપું, એને આગળ વધારું, ગુજરાતની જનતાને દરેક સમાજને આમાં લાભ મળે એવાં પ્રયત્નો મારી આગેવાની નીચે ખોડલધામ ચાલુ કરે. આ બાબતથી હાલ રાજકારણમાં મારા પ્રવેશને હું હાલ પૂરતો મોકુફ રાખું છું. આ જે પ્રકલ્પો છે તેને ટૂંક સમયમાં જ રાજકોટ નજીક અમરેલી ગામે ખોડલધામ તેને રોલમોડલ તરીકે આગળ વધારવા માંગીએ છીએ.'
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 16, 2022
સમય અને સંજોગ શું કરાવે તે આપણને કે કોઇને પણ ખબર ના હોય: નરેશ પટેલ
રાજકારણને લઇને તેઓએ જણાવ્યું કે, 'મારો રાજકારણમાં પ્રવેશ હાલ પૂરતો મોકુફ જ છે. એટલે કે આમ તમે રદ જ ગણી શકો. પણ સમય અને સંજોગ શું કરાવે તે આપણને કે કોઇને પણ ખબર ના હોય. આને પોલિટિકલ પ્રેશર ના કહી શકાય. કેમ કે જો પોલિટિકલ પ્રેશર હોત તો હું પહેલેથી રાજકારણમાં જવાનો નિર્ણય ના લઉં.'
હજુ પણ કદાચ લોકો મને મળવા આવશે. આ પણ શક્ય છે: નરેશ પટેલ
નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે, 'હજુ પણ કદાચ લોકો મને મળવા આવશે. આ પણ શક્ય છે. તો મને પૂછીને જ જે વાત કરવી તે કરજો. 2022ની અંદર દરેક પક્ષમાં પાટીદારો હોય અથવા અન્ય સમાજના પણ લોકો મારી મદદ માંગવા આવશે તો હું તેમને મદદ કરીશ.'
વડીલો 100એ 100 ટકા મને રાજકારણમાં જોડાવાની ના કહે છે: નરેશ પટેલ
નરેશ પટેલે જણાવ્યું કે, 'યુવાનોમાં 80 ટકા યુવાનો મને રાજકારણમાં જોડાઓ તેવું કહે છે. મહિલાઓમાં 50 ટકા મહિલાઓ જવાનું કહે છે અને વડીલો 100એ 100 ટકા મને રાજકારણમાં ના જોડાઓ તેવું કહે છે. હું રાજકારણમાં જઉં કે ના જઉં એ જ એક મોટી બાબત હતી. પણ આજે પૂર્ણવિરામ છે. હું શિવરાજને પણ રાજકારણમાં જવાની ના પાડીશ. કોઇ પાર્ટી નાની નથી, બધી પાર્ટી મોટી છે.'
નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે, 'હું પ્રથમ તો આપ સૌ મીડિયાકર્મીનો હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે. હું તેનો ઋણી છુું. દરેક રાજકીય પક્ષ અને તેના આગેવાનોએ મને જે આવકાર આપ્યો છે તેનો પણ હું આભાર માનું છું. તેમજ ગુજરાતના સર્વે સમાજના ભાઇ-બહેનોએ મને હુંફ આપી છે તેમનો પણ હું આભાર માનું છું.'