ગુજરાતના રાજકારણમાં નરેશ પટેલ ક્યારે રાજકારણમાં જોડાશે તે ચર્ચાએ પક્ડયો છે વેગ, ત્યારે હવે આ સવાલનો જવાબ ટુંક સમયમાં આવી શકે છે. કારણ કે નરેશ પટેલ ફરી દિલ્હી પહોંચ્યા
નરેશ પટેલ દિલ્હી નહીં વારાણસી ગયા
કંપનીના કામથી વારાણસી ગયા
રાજકોટથી વાયા દિલ્હી વારાણસી ગયા
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશની અટકળો છેલ્લા બે ત્રણ મહિનાથી ચાલી રહી છે. નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવા સમાચારો ઘણા વહેતા થયા પરંતુ આજ દિન સુધી નરેશ પટેલ આ અંગે કોઇ નિર્ણય લઇ શક્યા નથી. તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે કે નહી તે અંગે 15મે પહેલા ચિત્ર સ્પષ્ટ કરી દેશે તેવું સામે આવ્યું હતું. વળી જામનગરના એક કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું હતું કે હું રાજકારણમાં જોડાવાનો છું તે નક્કી છે પરંતુ ક્યારે કોંગ્રેસમાં જોડાઈશ તે હજુ નક્કી નથી. ત્યારે હવે પાટીદાર આગેવાન નરેશ પટેલ ફરી એકવાર દિલ્હી પહોંચ્યા છે. પરંતુ તેઓ દિલ્હીથી સીધા વારાણસી ગયા હોવાનું સામે આવ્યું છે. પોતાની કંપનીના કામથી નરેશ પટેલ વારાણસી ગયા છે. તેમણે ઇન્ડિયન રેલવેનું કામ લીધું છે.
દિલ્હી નહીં વારાણસીનો છે પ્રવાસ
નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરે તે પહેલા ફરી એકવાર દિલ્હી જઇને કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે તેઓ બેઠક કરે તેવી શક્યતા હતી. જોકે તેઓ રાજકોટથી દિલ્હી અને ત્યાંથી સીધા વારાણસી પહોંચ્યા છે.
મહત્વનું છે કે, 8 મેના રોજ રાજકોટ ખાતે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સાથે નરેશ પટેલે બેઠક કરી હતી. જો કે નરેશ પટેલ કઇ રાજકીય પાર્ટીમાં જોડાશે તે હજી કંઇ નક્કી થયુ નથી તેઓ અવારનવાર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે જોવા મળે છે. જે જોતા જણાઇ રહ્યં છે કે નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઇને હજુ સમય લાગી શકે છે.
દિનેશ બાંભણિયાએ નિર્ણય લેવા કરી માંગ
પાસના નેતા દિનેશ બાંભણિયાએ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઇને એક ટ્વિટ કર્યુ હતું. તેઓએ તેમાં ઉલ્લેખ કર્યો છે કે ' સાથી મિત્રો સમયની માંગ છે કે જલદી નિર્ણય લેવામાં આવે. વડીલોના માર્ગદર્શન હેઠળ સાથે મળીને કંઈક નિર્ણય લેવામાં આવે..પછી એ નિર્ણયસામાજિક હોય કે રાજકીય.....જય સરદાર'.
ગુલાબસિંહે નરેશ પટેલને AAPમાં જોડાવાનું કહ્યું
તો આ તરફ ગુજરાતમાં ચૂંટણી લડવા તમામ મોરચે સક્રિય થયેલી આમ આદમી પાર્ટીના ચૂંટણી ઈન્ચાર્જ નેતા ગુલાબસિંહે જણાવ્યું હતું કે, નરેશ પટેલ સામાજિક સારા નેતા છે.નરેશ પટેલને અગાઉ હું મળ્યો છું, ખૂબ સારા વ્યક્તિ છે. તેમણે નરેશ પટેલને ગુજરાતના લોકોનું ભલું કરવા એક સાથે એક પ્લેફોર્મ પર આવે તેવું કહી AAPમાં જોડાવવાની વાત કહી હતી. જે બાદ ગુજરાતના રાજકારણમાં પુનઃ ગરમાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષના અંતે યોજનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શિક્ષણ, આરોગ્ય સેવા દિલ્લી મોડેલ જેવા વિવિધ મુદ્દા પર ચૂંટણી લડશે. તેમજ AAP રાજ્યની 182 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા કરીને ચૂંટણી લડશે. તેમ જણાવ્યું હતું.