કોંગ્રેસમાં OBC અને દલિત સમાજનું પ્રભુત્વ હોવાનો હાર્દિકનો મત, વિધાનસભા ચૂંટણી પહેલા કેસરીયો કરે તેવા એંધાણ
નરેશ પટેલને મળશે હાર્દિક પટેલ
આંદોલનના જૂના સાથીઓ પણ રહશે ઉપસ્થિત
હાર્દિક પકડી શકે છે ભાજપનો હાથ
હાર્દિક પટેલની કોંગ્રેસમાં નારાજગી વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં આવતીકાલે નરેશ પટેલને હાર્દિક પટેલ મળશે. આ બેઠકમાં હાર્દિક પટેલ, નરેશ પટેલ અને અલ્પેશ કથીરિયા સાથે આંદોલનના જૂના સાથીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે દાહોદમાં રાહુલ ગાંધીએ જાહેરમાં નામ ન લેતા હાર્દિક પટેલે નારાજગી દર્શાવી હતી. સાથે હવે કોંગ્રેસમાં OBC અને દલિત સમાજનું પ્રભુત્વ હોવાનો હાર્દિક માની રહ્યો છે. તેથી હવે હાર્દિક પટેલ આગામી દિવસોમાં ભાજપનો ખેસ ધારણ કરી શકે છે.
દાહોદમાં રાહુલ ગાંધીએ નામ ન લેતા હાર્દિક પટેલ નારાજ
વર્ષ 2019માં રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને હોંશેહોંશે પાર્ટીમાં આવકાર્યા હતા. પરંતુ ગત દિવસોમાં દાહોદમાં આયોજિત આદિવાસી રેલીમાં રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ એક જ સ્ટેજ પર હતા, બન્ને એકલામાં મળ્યા નહોતા. હાર્દિક જેલમાં ગયા હોવા છતાં દાહોદમાં રાહુલ ગાંધીએ નામ ન લેતા હાર્દિક પટેલ નારાજ થયા છે. માનવામાં આવે છે કે પાછલા કેટલાક દિવસથી હાર્દિક દ્વારા જે રીતે જાહેરમાં કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે તેનાથી રાહુલ ગાંધી ખુશ નથી.
રાહુલ ગાંધીને મળવા દિલ્હી જશે હાર્દિક પટેલ
દાહોદના કાર્યક્રમ બાદ હાર્દિક પટેલે કહ્યું કે, રાહુલ ગાંધી અને તેમની વચ્ચે મંગળવારે વ્યક્તિગત મુલાકાત નહોતી થઈ. થોડીવાર માટે મળ્યા અને તેમણે જાહેર રેલીને સંબોધવાની હતી અને તે પછી રાહુલ ગાંધી આદિવાસીઓ ધારાસભ્યો અને નેતાઓ સાથે બેઠક કરવાના હતા. મારી તેમની સાથે હળવી મુલાકાત થઈ હતી અને મેં ત્યાંથી પરત ફરવા માટે મંજૂરી લીધી હતી. મારે એક અઠવાડિયામાં તેમને દિલ્હીમાં મળવા જવાનું છે.
શું હશે હાર્દિક પટેલનો મોટો નિર્ણય?
મળતી માહિતી અનુસાર, હાર્દિક પટેલ આગામી અઠવાડિયે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત બાદ તેઓ કોઈ મોટો નિર્ણય લઇ શકે છે. જણાવાઈ રહ્યું છે કે તેઓ હજુ પણ કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે. તેમની આ નારાજગી રાજકારણમાં અનેક ચર્ચાઓને જોર આપી રહી છે. હજુ સુધી હાર્દિકે પોતાના આગામી નિર્ણય તરફ કોઈ ઇશારો નથી કર્યો, પહેલા એ પણ કહી ચૂક્યા છે કે કોંગ્રેસમાં રહેવાના છે. પરંતુ હજુ સુધી તેમની માંગો પર યોગ્ય વિચાર નથી થયો, તેવામાં તેઓ જલ્દી કોઈ મોટો નિર્ણય લેતા નજરે પડી શકે છે. હાર્દિકે કહ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓથી નારાજ છું, આગામી અઠવાડિયે રાહુલ ગાંધીને મળ્યા બાદ અંતિમ નિર્ણય લઇશ.
નારાજગીનું શું છે કારણ ?
હાર્દિક પટેલને પોતાની જવાબદારીઓને લઇને કઇ પણ સ્પષ્ટ નથી થયું. તેમને માત્ર કહેવાના કાર્યકારી અધ્યક્ષ બનાવી દેવાયા છે, પરંતુ તેમને કરવાનું શું છે, તે પાર્ટી હાઈકમાન્ડે સ્પષ્ટ નથી કર્યું. હાર્દિક પટેલનો આક્ષેપ છે કે ગુજરાતમાં કેટલાક કોંગ્રેસના જ નેતા તેમના કામ નથી કરવા દઇ રહ્યા.
આમંત્રણ હોવા છતાં હાર્દિક પટેલે કોંગ્રેસની ચિંતન શિબિરમાં ગેરહાજર
ઉદયપુરમાં ત્રણ દિવસીય કોંગ્રસના ચિંતન શિબિરની શરૂઆત થઈ છે. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના કોંગ્રસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. આ ચિંતન શિબિરમાં દેશના વર્તમાન રાજકીય, આર્થિક, સામાજિક માહોલ અને તેના પડકારો પર વિચારણા થવાની છે. આ ચિંતન શિબિરમાં કોંગ્રેસના અનેક નેતાઓને આમંત્રણ અપાયુ છે. જેમાં ગુજરાત કોંગ્રેસના 18 નેતાઓ પણ આ ચિંતન શિબિરમાં ભાગ લેવા પહોંચ્યા છે. ત્યારે હાર્દિક પટેલને આમંત્રણ હોવા છતાં તેને ચિંતન શિબિરમાં જવાનુ ટાળ્યુ છે. જે દર્શાવે છે કે હવે હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે ક્યાંકને ક્યાંક છેડો ફાડવાની તૈયારીમાં છે.