ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ખેડૂતો આંદોલનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.
ખેડૂતોને કૃષિમંત્રીએ કરી અપીલ
આંદોલનને સ્થગિત કરવા અપીલ
ખેડૂતો આંદોલન કરે સ્થગિતઃકૃષિમંત્રી
ખેડૂતોને આંદોલન છોડી સરકાર સાથે વાતચીત માટે કરી અપીલ
દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેરે કાળો કહેર વર્તાવ્યો છે. કોરોના કેસમાં તો સતત વધારો થઇ જ રહ્યો છે પણ મૃત્યુદર પણ વધી રહ્યો છે. જેને લઇ દિલ્લીની સરહદો પર કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન પર બેઠેલા ખેડૂતોને કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે અપીલ કરી છે.
ખેડૂતો સાથે સરકાર હંમેશ માટે વાતચીત કરવા માટે છે તૈયારઃ કૃષિમંત્રી
કૃષિમંત્રીએ કહ્યું કે ખેડૂતો આંદોલન છોડી સરકાર સાથે વાતચીત માટે પહેલ કરે. ખેડૂતો સાથે સરકાર હંમેશ માટે વાતચીત કરવા તૈયાર છે, જો ખેડૂતો આંદોલન સ્થગિત કરી વાતચીત માટે આવશે તો સરકાર તૈયાર છે અને જે ખેડૂતોના મનમાં કૃષિ કાયદાને લઇ શંકા છે તેને દૂર કરવાનો પ્રયાસ કરાશે. સાથે સાથે તેઓએ ખેડૂતોને પોતાના ઘરે જવા પણ સૂચન કર્યું.
ખેડૂતો કૃષિ કાયદા સામે છેલ્લા પાંચ મહિનાથી કરી રહ્યાં છે વિરોધ
મહત્વનું છે કે છેલ્લા પાંચ મહિનાથી ખેડૂતો કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન કરી રહ્યાં છે. સરકાર સાથે અનેક બેઠક બાદ પણ કોઇ સમાધાનકારી નિર્ણય થઇ શક્યો નથી. ખેડૂતો પોતાની માગ પર અડગ રહ્યાં છે અને આંદોલન કરી રહ્યાં છે. ત્યારે કોરોનાની સ્થિતિને જોતા કૃષિમંત્રીએ આંદોલન સમેટવાની વાત ખેડૂતો સમક્ષ મુકી છે ત્યારે જોવું રહ્યું કે હવે શું રસ્તો નીકળશે.
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે જેમાં માર્ચ મહિનાની શરૂઆતથી કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ જેવા રાજ્યોમાં સંક્રમણ સતત વધી રહ્યું છે જેના કારણે સરકારોની ચિંતામાં વધારો થયો છે. ભારતના કેટલાય રાજ્યોમાં ફરીથી પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. ઘણા બધા શહેરોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે તો ઘણા બધા રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ કરવામાં આવ્યું છે. ભારતમાં સતત વધી રહેલા કેસ વચ્ચે રાજ્ય સરકારો ફરી ચિંતામાં મૂકાઈ છે.