PM મોદી દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કરશે. આવતીકાલે તેઓ દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કરશે, ઉદ્ઘાટન સમયે મુખ્યમંત્રી રૂપાણી તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી મોદી કરશે લોકાર્પણ
પ્રધાનમંત્રી મોદી જે ગુજરાત ભવનનું લોકાર્પણ કરવાના છે તેનું નિર્માણ 7 હજાર 66 ચોરસ મીટર વિસ્તારમાં થયું છે. આ ગરવી ગુજરાત ભવનમાં ગુજરાતી વ્યંજનોનો આસ્વાદ પણ માણી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત ભવન અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ છે.
આ સુવિધાઓથી સજ્જ છે
20325 ચોરસ મીટર એરિયામાં બનાવવામાં આવેલું આ ગુજરાત ભવન અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે. જેમાં 19 સ્વીટ રૂમ, 59 અન્ય રૂમ, બિઝનેસ સેન્ટર, 200 બેઠકની ક્ષમતા ધરાવતો હોલ, ચાર લોંજ, જીમનેશિયમ, યોગા સેન્ટર, ટેરેસ ગાર્ડન અને લાયબ્રેરી તથા 80 બેઠક વ્યવસ્થા સાથેનો કોન્ફરન્સ હોલ પણ છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, દિલ્હીમાં વર્ષોથી ગુજરાત ભવન કાર્યરત છે. પરંતુ વધતી જતી જરૂરિયાતો અને નાગરિકોના ધસારાને કારણે આ ભવનનું ફરી નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવ નિર્મિત ભવન માટે ગુજરાત સરકારની વિનંતિને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે 7066 ચોરસ મીટર જમીન અકબર રોડ ઉપર ફાળવી હતી. જેની કિંમત રાજ્ય સરકારે ભરી દીધી હતી.
131 કરોડના ખર્ચે બનાવાયું
131 કરોડના ખર્ચે આકાર પામેલા આ ગરવી ગુજરાત ભવનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે.