પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીના તાલકટોરા મેદાનમાં રાષ્ટ્રીય વેપારી સંમેલનને સંબોધ્યું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રીના વેપારી વર્ગને આકર્ષવા માટે કહ્યુ કે, ''તેમની સરકાર ફરી સત્તામાં આવશે તો વેપારીઓને 50 લાખ રૂપિયા સુધીની લોન ગેરેન્ટી વગર આપવામાં આવશે.''
પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યુ કે, GST અંતર્ગત રજિસ્ટર્ડ વેપારીઓને 10 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વિમો ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રધાનમંત્રીએ વચન આપ્યુ કે, ''તેમની સરકાર વેપારીઓ માટે કલ્યાણ બોર્ડ બનાવશે.''
કોંગ્રેસે વેપારીઓનુ અપનામન કર્યુ છે:
PM મોદીએ કહ્યુ કે, ''વેપારીઓએ હમેશાં દેશ બાબતે વિચાર્યું છે. દેશના વેપારીઓના કારણે જ ભારતને પહેલા સોને કી ચિડિયાનું ઉપનામ આપવામાં આવતું હતું.'' કોંગ્રેસ પર કટાક્ષ કરતા મોદીએ કહ્યું- ''આઝાદી બાદ કોંગ્રેસના શાસનમાં વેપારીઓને લઈને ધારણા બની હતી કે દેશમાં જે પણ કઈ ગોટાળા થઈ રહ્યાં છે, તે માત્ર વેપારીઓને કારણે થઈ રહ્યાં છે.''
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, ''વાસ્તવિકતા તો એ છે કે મારા દેશના સામાન્ય વેપારીઓ તો મોંઘવારીનો બેવડો માર સહન કરે છે. એક તો એ કે તે પોતે ઘરનું બજેટ બનાવે છે તો મુશ્કેલી થાય છે. બીજું મોંઘવારીના કારણે લોકોના બધા પૈસા મુખ્ય જરૂરિયાતો પુરી કરવામાં ખર્ચ થઈ જતા હતા તો દુકાનદારોના વેપારમાં ઘટાડો થતો હતો. તેની અસર વેપારી સમાજ પર પડે છે. મોંઘવારી કન્ટ્રોલમાં હોય છે તો ખિસ્સામાં પૈસા હોય છે અને ત્યારે બજારમાં લોકો વાપરે છે અને વેપાર તેજીથી વધે છે.''
તેમણે કહ્યુ કે, ''પહેલા દેશમાં કારોબારીઓને જંગલના કાયદા અને કાયદાના જંગલ.. બંને સામે લડવું પડતું હતું. 2014માં જયારે તમે મને બોલાવ્યો હતો, ત્યારે હું પ્રધાનમંત્રી ન હતો. તે વખતે લોકો મારી સભામાં આવતા ડરતા હતા કારણ કે તેમને ઈન્કમ ટેક્સની રેડ પડવાનો ભય સતાવતો હતો. પ્રથમ વાર આ મંચ પર એક વાત કહેવામાં આવી હતી કે દેશમાં એવી સરકાર છે, જે નવા-નવા કાયદા બનાવવાનું કામ કરે છે. મે કહ્યું હતું કે હું આવીશ તો દરેક દિવસે એક નવા કાયદાને હટાવીશ.''
GSTથી પારદર્શકતા વધી:
PMએ કહ્યુ કે, GST બાદ વેપારમાં પારદર્શકતા આવી અને કાચા-પાકાના ચક્કરમાંથી તમે મુક્ત થઈ ગયા.GSTથી રાજયોની રેવન્યુ દોઢ ગણી વધી છે. GSTની વ્યવસ્થા આપના સૂચનો પર ચાલી રહી છે.
"હું એમ કહેતો નથી કે સરકારથી ભૂલો થતી નથી. એટલો મોટો દેશ છે કે જે એક વિસ્તાર માટે સાચું હોય તે બીજા વિસ્તાર માટે ન પણ હોય. તમારી સલાહ એટલા માટે પણ જરૂરી છે, કારણ કે વેપારી દેશની અર્થવ્યવસ્થાનું મુખ્ય અંગ છે. અમે તમને જેટલું પ્રોત્સાહન આપીએ તેટલું ઓછું છે."