દેશ આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે, નરેન્દ્ર મોદી પોતાની ટીમમાં બુદ્ધિજીવીઓને ઉમેરી દેશના અર્થતંત્રનું સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દિલ્હીની રાજનીતિમાં મોદીના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે. આ સાથે પીએમ મોદી આ વખતે દેશના બુદ્ધિજીવી દિગ્ગજ બિઝનેસમેનો અને નેતાઓનો સમાવેશ કરશે.
સતત ઘટતા જતા જીડીપી ગ્રોથ માટે સરકાર ઇન્ડસ્ટ્રીઝના અનુભવી લોકોની મદદ ઇચ્છે છે
કે વી કામથને ઉદ્યોગ જગત પર સારી પકડ, નાણા મંત્રાલયમાં રાજ્ય મંત્રી (એમઓએસ) બનાવવામાં આવી શકે
નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતને પણ મંત્રી પરિષદમાં જગ્યા આપવામાં આવી શકે છે
મોદી નાણા, વેપાર, વાણિજ્ય અને માનવ સંશાધન જેવા દેશના અતિ મહત્વના મંત્રાલયમાં ફેરબદલ કરી કોઇ નવા જ લોકોને મંત્રીમંડળ સોંપી દેશના અર્થતંત્રને વેગ આપવાનો વિચારી રહ્યા છે. રાજકીય સૂત્રોની પાક્કી માહિતી અનુસાર, ICICI બેન્ક અને ઇન્ફોસિસના ચેરમેન રહી ચૂકેલા કે વી કામથ નાણા મંત્રાલયમાં રાજ્ય મંત્રી (એમઓએસ) બનાવવામાં આવી શકે છે. ત્યારબાદ તેઓેને એનાથી પણ મોટી જવાબદારી મળી શકે છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી આ રિપોર્ટ આપી છે. સતત ઘટતા જતા જીડીપી ગ્રોથ માટે સરકાર ઇન્ડસ્ટ્રીઝના અનુભવી લોકોની મદદ ઇચ્છે છે.
ઉદ્યોગ જગતમાં કામથની સારી એવી પકડ છે. બેન્કિંગ સેક્ટરમાં તેમનું ઘણું નામ છે, તેઓ હાલ ન્યૂ ડેવલપમેન્ટ બેન્કના પ્રેસિડેન્ટ છે. આ બેન્ક બ્રિક્સ દેશોના- બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રીકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સતત વિકાસની યોજનાઓ માટે સંસાધન મેળવે છે.
નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતને પણ મંત્રી પરિષદમાં જગ્યા આપવામાં આવી શકે છે. મોદી સરકાર રાજનીતિ સાથે જોડાયેલા લોકોની સાથે જ ટેક્નિકલ એક્સપર્ટ્સને પણ મંત્રી પરિષદમાં સામેલ કરવા માંગે છે. પૂર્વ વાણિજ્ય અને ઉદ્યોગ અને રેલ મંત્રી સુરેશ પ્રભુની ફરીથી વાપસી થઇ શકે છે.
રિપોર્ટ મુજબ, રાજ્ય સભા સાંસદ સ્વપ્ન દાસગુપ્તા પણ મંત્રી પરિષદમાં સામેલ થઇ શકે છે. તેમને માનવ સંસાધન મંત્રાલય (HRD)માં રાજ્ય મંત્રીની જવાબદારી મળી શકે છે.