આજે મોદી સરકાર 2ના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા. જે મંત્રીમંડળમાં ગુજરાતમાંથી 1 કેબિનેટ મંત્રી, 1 રાજ્યકક્ષાનો સ્વતંત્ર પ્રભાર અને 1 રાજ્યકક્ષાના મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો. તો અમિત શાહને ત્રીજા નંબરનું સ્થાન આપવામાં આવ્યું.
નરેન્દ્ર મોદીએ બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. તો મોદી સરકારમાં નંબર ટુ તરીકે રાજનાથ સિંહ અને ત્રીજા નંબરે અમિત શાહે મંત્રી પદના શપથ લીધા હતા. શાહે પહેલીવાર કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ લીધા હતા. મોદીના મંત્રીમંડળમાં 57 ચહેરાઓને ગોપનીયતાના શપથ આપવામાં આવ્યા છે.
મોદીના મંત્રીમંડળમાં 24 કેબિનેટ મંત્રી અને 24 રાજયકક્ષાના મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મંત્રી મંડળમાં 8 મંત્રીઓને સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો છે. મોદીના મંત્રીમંડળમાં સ્મૃતિ ઇરાની, નિર્મલા સિતારમણ સહિત 6 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાંથી અમિત શાહ સહિત 3 સાંસદોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં મનસુખ માંડવિયાને સ્વતંત્ર હવાલો અને પુરષોતમ રુપાલાને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા છે.
રૂપાલાનું રાજકીય કરિયરઃ ઓક્ટોબર 1954માં જન્મેલ રૂપાલાનું રાજકીય કરિયર 1991માં શરૂ થયું, તેઓ અમરેલીના ધારાસભ્ય બન્યા. ગુજરાત કેબિનેટ મંત્રી રહી ચૂકેલા રૂપાલા 2008માં રાજ્ય સભા માટે પસંદ કરવામાં આવ્યા. ત્યારબાદ 2016માં બીજી વખત તેઓ રાજ્ય સભામાં ચૂંટાયા. પુરૂષોત્તમ રૂપાલા સૌરાષ્ટ્ર ક્ષેત્રના પ્રભાવશાળી કડવા પાટીદાર સમાજમાંથી છે.
પ્રધાનમંત્રી મોદીના શપથગ્રહણ સમારોહમાં અરૂણ જેટલી, સુષમા સ્વરાજ, રાજ્યવર્ધન રાઠોડ, વરૂણ ગાંધી અને મેનકા ગાંધી સહિતના નેતાઓની બાદબાકી કરવામાં આવી છે. જ્યારે અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. મોદીના મંત્રી મંડળમાં પશ્વિમ બંગાળને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.