જ્યારે દેશમાં અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીનો સૂર્ય તપતો હતો. ત્યારે નરેન્દ્ર મોદી ભાજપમાં મહામંત્રી હતા. મોદી, અડવાણી અને વાજપેયીની ખૂબ જ નજીક હોવાથી બન્નેની વિશેષતાઓથી વાકેફ હતા અને તેથી જ આ બન્ને મહાન નેતાઓ પાસેથી મોદી ઘણું જ શિખ્યા અને તેમાંય ખાસ કરીને નેતૃત્વના ગુણો.
પ્રધાનમંત્રી મોદી આજે એક સફળ શાસક છે તેની પાછળ વાજપેયી અને અડવાણી પાસેથી શીખવા મળેલા પાઠ છે. મોદી અને વાજપેયી બન્ને શૂન્યમાંથી શિખરો પર પહોંચેલા નેતાઓ છે. અડવાણી-વાજપેયીના સંગાથથી PM મોદીમાં ખીલેલા નેતૃત્વના ગુણોને આજે દેશ-દુનિયા જોઈ રહી છે.
ઉંમરની સાથે ઉર્જામાં થઇ રહ્યો છે વધારો
પ્રધાનમંત્રી નરેદ્ર મોદીનો આજે 70માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો. પરંતુ નવાઈની વાત એ છે કે, વધતી ઉંમર સાથે જાણે તેમની ઉર્જામાં પણ વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું. વાત દેશહિતમાં સતત કાર્યક્ષમ રહેવાની હોય તો પીએમ મોદીને કદી ઉંમરનો બાધ નડ્યો નથી કે થાક લાગ્યો નથી. કેમ કે, દેશના વિકાસ પથ પર પીએમ તેમના રાજકીય ગુરુ એવા પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયી અને પૂર્વગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીની વિચારધારાને સતત ધબકતી રાખવા માગે છે. કેમ કે વાજપેયી અને નરેન્દ્ર મોદી વચ્ચેનું ભાવનાત્કમ જોડાણ ઘણું ગાઢ રહ્યું છે.
1999માં નરેદ્ર મોદીના કાવ્યસંગ્રહનું વિમોચન ખુદ તત્કાલિન પીએમ વાજપેયીજીએ કર્યું હતું. તે વખતે નરેન્દ્ર મોદીજીએ વાજપેયી પ્રત્યે સન્માન વ્યક્ત કરતાં કહ્યું હતું કે, - ` હું વાજપેયીજીની આંગળી પકડીને ચાલવાનું શીખી રહ્યો છું'. આંગળી પકડીને રાજકીય પથ પર ચાલવાનું શીખવાડનાર અટલબિહારી વાજપેયીએ 2001માં નરેન્દ્ર મોદીને સ્વતંત્ર રીતે ચાલવા માટે ગુજરાત મોકલ્યા હતા. એ વાતની ઘણા ઓછા લોકોને ખબર હશે કે, પીએમ મોદીને વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બનાવીને મોકલવાનો નિર્ણય અટલબિહારી વાજપેયીનો જ હતો અને તેમના આ નિર્ણય પર પાર્ટીમાં નંબર ટુનું કદ ધરાવતા નેતા લાલકૃષ્ણ અડવાણીએ મંજૂરીની મહોર લગાવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વાજપેયીજીના નિર્ણય વધાવ્યો
વર્ષ-2001માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો. જેના કારણે રાજ્યમાં મોટાપાયે વિનાશ સર્જાયો હતો.આ વિનાશના કારણે રાજ્યમાં રાજકીય અસ્થિરતા પણ સર્જાઈ હતી. આ દરમિયાન મોદીજીની લોકપ્રિયતા પાર્ટી કેડરમાં વધી રહી હતી. બીજેપીમાં પાર્ટી મહાસચિવ તરીકે મોદીજીની કામ કરવાની રીતભાતથી અનેક નેતાઓ પ્રભાવિત થઈ રહયા હતા.
આથી જ મોદી ભાજપમાં કેન્દ્રીય નેતાઓની સામૂહિક પંસદ બનીને ઉભરી આવ્યા હતા. આ બધા વચ્ચે અને ગુજરાતની રાજકીય અસ્થિરતા વચ્ચે વાજપેયીએ જ્યારે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો તો દરેક લોકોએ વગર વિરોધ વાજપેયીના આ નિર્ણયને એકી સૂરે સ્વીકાર કરી લીધો હતો.
રાજકીય ગુરુની છાપ PM મોદીના દરેક પગલાંમાં અનુભવાય છે
આપને નવાઈ લાગશે પરંતુ પોતાના રાજકીય ગુરુ વાજપેયીની છાપ પીએમ મોદીના દરેક પગલાંઓમાં સ્પષ્ટ રૂપે ઊભરી આવે છે. એ વાત પછી યુએનમાં ભારતનો ડંકો વગાડવાની હોય કે, સરહદ પાર દુશ્મનોને જડબાતોડ જવાબ આપવાની વાત હોય કે, કોઈ દોસ્તીનો એક હાથ લંબાવે તો તેને છાતી સરસો ચાંપીને પોતાનો બનાવવાની વાત હોય પીએમ મોદીના દરેક પગલાંમાં તેમના રાજકીય ગુરુના દર્શન થાય છે.
17 વર્ષના કાર્યકાળ દરમિયાન અડીખમ રહ્યું છે પરિસ્થિઓ વચ્ચેનું તાલમેલ
નિશ્ચિત રીતે વાજપેયીએ જ પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે મોદીના રાજકીય કરિયર માટે માર્ગ પ્રસસ્થ કરી આપ્યો છે. પીએમ મોદીએ પણ વાજપેયીની એ પરંપરાને જીવંત રાખવા કોઈ કસર છોડી નથી. પોતાના લગભગ 17 વર્ષના કાર્યકાળમાં પીએમ મોદીએ વાજપેયી પાસેથી વિચારધારા અને પરિસ્થિઓ વચ્ચેનો તાલમેલ જાળવવાનું શીખી લીધું છે અને એ પણ જનતા જનાર્દન અને સહયોગી નેતાઓ વચ્ચે લોકપ્રિયતા જાળવી રાખીને.
ખરી રીતે કહીએ તો મોદીએ વાજપેયીના રાજકીય વારસાને આગળ વધારતા ભાજપ માટે એક વિશાળ સંગઠનાત્મક માળખાનું નિર્માણ કર્યું છે. એ માટે તેમણે અનેક પક્ષોને પોતાના સહયોગી બનાવ્યા છે. પરંતુ એ પણ બીજેપીની મૂળ વિચારધારા સાથે સમજૂતી કર્યા વગર. આ બધી બાબતો સાથે નરેન્દ્ર મોદી લોકોની નજરમાં એક શીર્ષસ્થ નેતા તરીકે ઊભરી રહ્યા છે.