PM મોદીએ કોરોના વાયરસના ભારતના સંકટને લઈને રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું. રાત્રે 8 વાગ્યે આ સંબોધન શરૂ કરતા તેમણે દેશવાસીઓ પાસે અમુક માંગણી કરી હતી. તેમણે ખાસ કરીને લોકોને કહ્યું હતું કે આ સંકટને જરા પણ હળવું લેવાની જરૂર નથી. જેથી સરકારના આ પ્રયાસમાં જનતા પણ સહકાર આપે અને બને તેટલું સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. તેમણે કહ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધમાં પણ આટલા દેશો પ્રભાવિત નહોતા થયા જેટલા અત્યારે કોરોના વાયરસથી થયા છે.
PM મોદીના ભાષણના મુખ્ય અંશો
દેશ જ નહિ સમગ્ર વિશ્વ એક ગંભીર સંકટમાં છે
આજે હું 130 કરોડ દેશવાસીઓને એક વિનંતી કરું છું. હું તમારો આવનારો થોડો સમય માંગું છું. વિજ્ઞાન આ રોગની કોઈ દવા કે ઉપાય શોધી શક્યું નથી. આ સ્થિતિમાં વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે રોગ શરુ થયા બાદ અચાનક દર્દીઓની સંખ્યામાં વિસ્ફોટ થાય છે અને સંખ્યા ભયજનક રીતે વધે છે. સરકાર આ પ્રકારના આંકડાઓ ઉપર નજર રાખી રહ્યું છે. પ્રભાવિત દેશોએ પોતાના દેશના લોકોને આઈસોલેશનમાં રાખીને આ મહામારી ઉપર કાબૂ મેળવ્યો છે. 130 કરોડની વસ્તીના દેશ ઉપર આ રોગની ગંભીર અસરો પડી શકે છે.
આ મહામારી ઉપર વિજય મેળવવા બે બાબતોની જરૂર છે.
૧ સંકલ્પ 130 કરોડ પ્રજાએ સંકલ્પ કરવો પડશે કે અમે સરકારની આ રોગને રોકવા જાહેર કરાયેલી ગાઈડલાઈન્સનું પાલન કરીશું. અમે પોતે પણ બચીશું અને બીજાને પણ બચાવીશું. આ સ્થિતિમાં આપણે સ્વસ્થ તો જગત સ્વસ્થ આ સૌથી મહત્વની બાબત છે.
2. સંયમ સંયમનો રસ્તો છે ઘરની બહાર નીકળવાથી બચવું, ભીડથી બચવું, સોશિયલ ડિસ્ટન્સિંગ કરવું એ ખૂબ જરૂરી છે. જો તમને લાગે છે કે તમે પોતે સ્વસ્થ છો અને તમે સડક ઉપર માર્કેટમાં ફર્યા કરો છો તો આ વિચારસરણી ખોટી છે. હું વિનંતી કરું છું કે આવતા થોડા અઠવાડિયા ઘરની બહાર નીકળવાનું ટાળો. નોકરી વ્યવસાય ઘરમાંથી થઇ શકે તેવો હોય તો કરો. પણ સમાંરભ, પાર્ટી વગેરેમાં જવાનું ટાળો.
22 માર્ચે રવિવારે જનતા કર્ફ્યૂ કરો
૬૦ ૬૫ ની ઉંમરથી મોટા લોકો ઘરથી બહાર ન નીકળે એ ખૂબ જરૂરી છે. હું આજે દેશવાસીઓ પાસેથી એક સમર્થન માંગુ છું. જનતા કર્ફ્યું. લોકો માટે લોકો દ્વારા કરવામાં આવતો કર્ફ્યું. રવિવાર 22 માર્ચે લોકો જનતા કર્ફ્યુંનું પાલન કરે. PM મોદીએ કહ્યું સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જનતા પોતાની જાતે જ કર્ફ્યૂ કરે અને ઘરની બહાર ન નીકળે.
સરકારે લીધા મોટા ફેંસલા
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને કહ્યું છે કે 65 વર્ષથી મોટા અને 10 વર્ષથી નાના નાગરિકોને ઘરમાં રહેવાની સુચના આપવામાં આવે. આ ઉપરાંત ખાનગી સેક્ટરને એવી સુચના આપવામાં આવી છે કે તેમના કર્મચારીઓને વર્ક એટ હોમની સુવિધા આપવામાં આવે. આ ઉપરાંત નાની મોટી કંપનીઓને અપીલ કરવામાં આવે છે કે વર્ક એટ હોમ કરી રહેલા અથવા થોડા સમય માટે કામ ઉપર ન આવી રહેલા કર્મચારીઓનો પગાર કાપવામાં ન આવે.
આ ઉપરાંત લોકોને અપીલ કરવામાં આવે છે કે જરૂરી ચીજ વસ્તુઓની સંગ્રહખોરી કરવા માટે દોડધામ ન કરે અને પહેલા જેટલી જ ખરીદી કરે. જીવનજરૂરિયાતની વસ્તુઓનો પુરવઠો અટકાવામાં આવશે નહી.
હોસ્પિટલ ઉપર દબાણ વધી રહ્યું છે
સંકટના આ સમયમાં એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે આ સમયે હોસ્પિટલ ઉપર દબાણ વધી રહ્યું છે. આ માટે મારી અપીલ છે કે રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ જવાનું ટાળવું શક્ય હોય તો વધુ સારું.