સાધિકા પર દુષ્કર્મ કેસના અપરાધી નારાયણ સાંઇને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં નારાયણ સાંઇને સુરત કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. નારાયણ સાંઈને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ઉપરાંત એક લાખનો દંડ પણ ફટકાર્યો છે.
લંપટ આસારામના પુત્ર નારાયણ સાઈને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હોવા છતા તેના ભક્તો નારાયણ સાઈને ગુનેગાર માનવા તૈયાર નથી. આસારામ અને નારાયણ સાંઈના ભક્તો આક્ષેપ લગાવી રહ્યા છે કે, નારાયણ સાંઈ સામે ષડયંત્ર કરવામાં આવ્યું છે. વધુમાં તેઓ કહે છે કે નારાયણ સાંઇ અમારા ભગવાન છે.
તો આ તરફ નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારતા અભિષેકના પિતા શાંતિલાલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કુકર્મીઓને સજા થતાં ન્યાયતંત્ર પર લોકોનો ભરોસો અકબંધ રહ્યો છે. જો કે આ સાથે જ તેમણે દિપેષ-અભિષેકની તપાસ માટે નિમાયેલા તપાસપંચના અહેવાલને પણ વિધાનસભામાં રજૂ કરવાની માગ ઉચ્ચારી હતી. મહત્વનું છે કે 2008માં આસારામ આશ્રમમાં પીતરાઇ બે ભાઇઓના રહસ્યમય રીતે મોત થયા હતા.
મહત્વનું છે કે, નારાયણ સાંઇ સહિત ગંગા ઉર્ફે ધર્મિષ્ઠાને 10 વર્ષની સજા અને 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો નારાયણ સાંઈને 377ની કલમ હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને પિડીતાને 5 લાખનું વળતર ચુકવવા માટે આદેશ કર્યો છે. તો આ કેસમાં અન્ય આરોપી જમના ઉર્ફે ભાવનાને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત આરોપી હનુમાન ઉર્ફે કૌશલને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. તો આરોપી ડ્રાઇવર રમેશ મલ્હોત્રાને પણ 6 માસની સજા ફટકારવામાં આવી છે.