ગુજરાતમાં નવી સરકારનાં ગઠન વચ્ચે ભાજપના બે દિગ્ગજ નેતાઓનો વિવાદ હવે સપાટી પર આવતો દેખાઈ રહ્યો છે.
ગુજરાત ભાજપનો વિવાદ ખુલ્લો પડ્યો
સાંસદ કાછડિયાએ નીતિન પટેલ પર કર્યા ગંભીર આક્ષેપ
નીતિન પટેલે અગાઉ કટાક્ષમાં અમુક લોકોને ગણાવ્યા હતા મંથરા
ભાજપનો વિખવાદ સપાટી પર આવ્યો, સાંસદે ખૂલેઆમ કર્યો નીતિન પટેલનો વિરોધ
ભાજપમાં છેલ્લા ઘણા દિવસમાં મોટી ઉથલપાથલ ચાલી રહી છે, રાજ્યમાં આખેઆખી સરકાર બદલી નાંખવામાં આવી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત બધા જ મંત્રીઓનાં રાજીનામાં સમયે કેટલાક નેતાઓ નારાજ હોવાની વાતો વહેતી થઈ હતી પરંતુ કોઈ નેતાએ જાહેરમાં કોઈ જ પ્રકારની નારાજગી વ્યક્ત કરી નહીં. ભારતીય જનતા પાર્ટમાં સત્તાનાં ટ્રાન્સફરમાં આ પ્રકારની સરળતા જોઈને દેશની મીડિયા અને ઘણા બધા નેતાઓ ચોંકી ઉઠયા હતા ત્યારે જોકે હવે ભાજપના બે દિગ્ગજ નેતાઓનો વિવાદ હવે સપાટી પર આવી ગયો છે. રાજ્યનાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલની સામે ભાજપનાં જ સાંસદ નારણ કાછડિયાએ બાંયો ચડાવી છે.
કાછડિયાએ શું કોમેન્ટ કરી?
નીતિન પટેલનાં એક વીડિયો પર ફેસબુકમાં ભાજપનાં સાંસદ નારણ કાચડિયાએ કોમેન્ટ કરીને ખૂલેઆમ વિરોધ વ્યક્ત કર્યો છે. કાછડિયાએ કોમેન્ટમાં કહ્યું છે કે ગાંધીનગરમાં અમે આવીએ ત્યારે તો સામે પણ નહોતા જોતાં, કામ કરવાની વાત તો પછી રહી. જોકે કાછડિયાની આ કોમેન્ટ પર નીતિન પટેલનાં સમર્થકો પણ મેદાનમાં આવ્યા હતા અને કાછડિયાને સોશ્યલ મીડિયા પર તાબડતોબ જવાબ આપ્યો હતો.
કાછડિયાએ આ મુદ્દે જવાબ આપતા કહ્યું છે કે ગાંધીનગર જતાં ત્યારે ઘણા બધા કાર્યકર્તાઓને આ જ અનુભવ થયો છે આ કડવો અનુભવ ખાલી મારો નથી. તેમણે વિભીષણ અને મંથરા કોને કહ્યા છે તે નીતિન પટેલ જ જણાવે.
નીતિન પટેલે શું કહ્યું હતું?
નોંધનીય છે કે નીતિન પટેલે અગાઉ કહ્યું હતું કે હું કોઈ વ્યક્તિનું નામ નથી દેતો, સ્વભાવિક છે કે કેટલાક લોકો જે રાજકીય રીતે જુદી વિચારસરણી ધરાવતા હોય અને તે મારા હિતેચ્છુ નાં હોય તેવા લોકોને કદાચ હું મંત્રી નાં રહું એમાં આનંદ થતો હોય. મેં એમ પણ કહ્યું છે કે મહેસાણા જિલ્લાની 99.99 ટકા જનતાને હું મંત્રી નથી તેનું દુ:ખ છે, ફક્ત 0.1 ટકા લોકો એવા છે કે જેમને મારા તરફ ઈર્ષ્યા હોય. હું મંત્રી નથી તેનો એ લોકોને છુપો આનંદ પણ હોય શકે.
નીતિન પટેલે ઈશારા ઈશારામાં કોને કહ્યું મંથરા?
નોંધનીય છે કે નીતિન પટેલ અહિયાં જ ન અટક્યાં તેમણે અમુક નેતાઓ પર કટાક્ષ કરીને તેમને મંથરા ગણાવી દીધા અને કહ્યું કે આ તો આજનું નથી, રામાયણ કાળમાં પણ વિભીષણ પણ હતા જે ભગવાન રામને સાચા સારા ધર્મનાં કામમાં મદદ કરી હતી અને મંથરા જેવી હતી જે દશરથનાં કાન ભંભેરી આખું પ્રકરણ ઊભું કર્યું. એટલે આ બધુ તો જનજીવનમાં અને જાહેર જીવનમાં ચાલ્યા કરવાનું.