આજે જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવની સમગ્ર દેશ અને દુનિયામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. ત્યારે યાત્રાધામ દ્વારકા અને ડાકોરમા જન્સમાષ્ટમીનું વિશેષ મહત્વ છે. કૃષ્ણ જન્મોત્સવને લઇ મધરાતથી જ દ્વારકા નીજ મંદિરે મોટી સંખ્યામાં ભકતોનો ઉમટ્યા છે અને ભગવાન કૃષ્ણના દર્શન માટે ભકતોની લાંબી લાઇનોમાં ઉભા જોવા મળી રહ્યા છે.
દ્વારકામાં મોટી સંખ્યામાં વ્હાલાના વધામણા કરવા માટે ભક્તો મંદિરમાં પહોંચ્યા છે. ભગવાન કૃષ્ણની 'કર્મભૂમિ' દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. શનિવારે રાતથી જ હજારોની સંખ્યામાં ભક્તોનું મંદિરમાં આગમન થયું છે. ત્યારે વહેલી સવારે નાથની મંગલા આરતી થઈ હતી. આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જ્યારે આજે દ્વારકામાં જન્માષ્ટમી નિમિત્તે રથયાત્રા સહિતના વિશિષ્ટ આયોજનો કરાશે.
ગુજરાતમાં દ્વારકા ઉપરાંત ડાકોર, શામળાજી જેવા પૌરાણિક મહત્વ ધરાવતા તીર્થધામમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. આ મંદિરોમાં વહેલી સવારથી 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી', 'હાથી-ઘોડા-પાલખી જય કનૈયાલાલ કી'ના જયઘોષ સાથે ગૂંજી ઉઠશે.