આ અમદાવાદી કલાકાર 16 વર્ષથી તેમની કલાનો ઉપયોગ દર્દીઓનાં હીતમાં કરે છે. હોસ્પિટલમાં જઈને દર્દીઓને ગમતાં અર્થ સભર ગીતો સંભળાવે છે. આ મ્યુઝિકથી દર્દીઓનાં મન હળવા થાય છે. તેઓ તેમનાં દુ:ખોને ભુલી સંગીતમાં મગ્ન થઇ જાય છે.
નમ્રતા શોધને 16 વર્ષથી તેમની કલાને દર્દીઓને સમર્પિત કરી
ડાયાલિસીસ પર રહેલી નિકીતા ઘીયાની કહાનીએ નમ્રતા શોધનને હચમચાવી દીધા
જ્યારે પણ સમય મળે ત્યારે હોસ્પિટલમાં દર્દીઓને ગીતો સંભળાવવા જાય છે
હોસ્પિટલમાં જઇને ગીત સંભળાવે છે
અમદાવાદી નમ્રતા શોધનને નાનપણથી જ સંગીતમાં રસ હતો. જેથી 7 વર્ષનાં હતા ત્યારે જ તેમણે સંગીત શીખવાનું શરુ કર્યું હતું. શાસ્ત્રીય સંગીતમાં વિસારદ થયાં બાદ તેમણે અનેક સ્ટેજ પર્ફોમન્સ આપતાં હતાં. હવે તેઓ માત્ર દર્દીઓ માટે જ પર્ફોમન્સ આપે છે. તેઓ જ્યારે પણ સમય મળે ત્યારે હોસ્પિટલમાં જઇને ડાયાલિસીસ પર રહેલાં દર્દીઓને અલગ અલગ ગીતો ગાઇ સંભળાવે છે.
કલાથી મળતાં તમામ પૈસા દર્દીઓ માટે વાપરે છે
2003થી તેમના તમામ પ્રોગ્રામમાં આવતા દાનના પૈસા તેઓ ડાયાલિસીસ પર રહેલાં દર્દીઓની સારવાર માટે આપે છે. સાથે સાથે તેઓ 150 વિદ્યાર્થીઓને સંગીત શીખવે છે. તે તમામ વિદ્યાર્થીઓની ફીના પૈસા પણ ડાયાલિસીસ પર રહેલાં દર્દીઓ માટે ખર્ચી નાંખે છે.
કેવી રીતે બદલાયું જીવન
વર્ષ 2003માં તેઓ તેમની દિકરીની સ્કુલમાં એક કાર્યક્રમમાં ગયાં હતાં. જ્યાં નિકીતા ઘીયા નામની યુવતી ડાન્સ પર્ફોમન્સ આપી રહી હતી. તેનો ડાન્સ જોઇને નમ્રતાબેન ખૂશ થયાં હતાં. તે દરમિયાન તેમની શિષ્યાએ કહ્યું નિકીતા મારી મિત્ર છે. તે પોતે ડાયાલિસીસ પર છે અને ડાન્સ કરીને દર્દીઓ માટે ફંડ ભેગું કરે છે. આ સાંભળી નમ્રતાબેન હચમચી ઉઠ્યાં હતાં. તેમણે નક્કી કર્યું કે તેઓ તેમની કલાનો આ દિશામાં ઉપયોગ કરશે.
હોસ્પિટલમાં જઇ દર્દીઓ માટે ગીતો ગાઇ છે
નડિયાદની નિકીતા સાથે લગાવ થઇ જતાં નમ્રતા શોધને દર્દીઓ માટે પહેલીવાર નડિયાદની મુળજીભાઈ પટેલ હોસ્પિટલમાં પર્ફોમન્સ આપ્યું. એ બાદ તેઓ અલગ અલગ હોસ્પિટલમાં દર્દીઓને અર્થ સભર, પ્રોત્સાહન પુરુ પાડતાં ગીતો ગાઇ સંભળાવે છે. તેઓ અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલમાં જ્યારે પણ સમય મળે ત્યારે પહોંચી જાય છે અને દર્દીઓને કલાકો સુધી ગીતો સંભળાવે છે.
તેમના મન ચોક્કસથી હળવા થાય છે
તેમની આ પ્રવૃત્તિ વિશે વાત કરતાં નમ્રતા શોધન જણાવે છે કે, નિકીતાની મુલાકાતે મને આ દિશા ચીંધી છે. મારા પતિએ મને આ માટે પ્રોત્સાહિત કરી છે. હું પર્ફોમન્સથી જે કાંઈ કમાતી તે દર્દીઓને આપતી હતી. હવે એવું થયું કે ખૂબ દાન સામેથી આવવાં લાગ્યું જેથી અમે 5 વર્ષથી એક સંસ્થા બનાવી છે. જેનું તમામ ફંડ દર્દીઓ માટે વપરાય છે. મ્યુઝિકથી આ પ્રકારની ગંભીર બિમારીમાં ભલે કોઈ ફર્ક ન પડ્યો હોય પણ તેઓનાં મન ચોક્કસથી હળવા થાય છે.'