મુંબઇ: ભાગેડું વિજય માલ્યાને 'સ્માર્ટ' કહેનાર મોદી સરકારના મંત્રી જૂએલ ઓરામના નિવેદન પર શિવસેના પ્રતિક્રિયા આપી છે. શિવાસેનાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે ભાજપને 'મેક ઇન ઇન્ડિયા' અને સ્ટાર્ટઅપ માટે બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં શરાબ વેપારી વિજય માલ્યાના નામની જાહેરાત કરી દેવી જોઇએ. પોતાના મુખપત્ર સામનામાં શિવસેનાએ કહ્યું છે કે એક તરફ તો પીએમ મોદી ભ્રષ્ટાચાર સામે લડવાની વાત કરે છે બીજી તરફ એમના પાર્ટીના નેતા હજારો કરોજોના મામલામાં ફરાર થયેલા વિજય માલ્યાને પોતાના આદર્શ માને છે.
શિવસેનાએ કહ્યું કે પીએમ મોદીએ પોતાના નેતાઓને સાર્વજનિક જગ્યાઓ પર બોલતી વખતે જીભ પર લગામ લગાવવાની સલાહ આપી હતી પરંતુ તેમ છતાં એમના કેટલાક નેતા હજુ પણ આવી વાતો કરે છે. જે ભાજપના નેતા રાહુલ ગાંધી અને શશિ થરૂરના મુસ્લિમો પર આપેલા નિવેદનને લઇને બોલે છે એમને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર માલ્યા પર પણ બોલવું જોઇએ.
જણાવી દઇએ કે શુક્રવારે હૈદરાબાદમાં મોદી સરકારમાં મંત્રી અને ભાજપ નેતા જુએલ ઓરામે વિજય માલ્યાને સ્માર્ટ કહ્યા હતા. ઓરામે આદીવાસીઓને સફળ ઉદ્યમી બનવા માટે વિજય માલ્યાના રસ્તા પર ચાલવા અને બેંકથી લોન લેવાની સલાહ પણ આપી હતી. જો કે બાદમાં બબાલ થવા પર ઓરામે પોતાના નિવેદન પર માફી પણ માંગી હતી.