આગામી 2 સપ્તાહમાં નવા પ્રભારીના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. AICCના મંથનમાં પ્રદેશ પ્રભારીની રેસમાં વધુ 2 નામોનો ઉમેરો કરવામાં આવ્યો છે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારીને લઇ મોટા સમાચાર
ગુજરાત કોંગ્રેસના પ્રભારી માટે AICCમાં મંથન
આગામી 2 સપ્તાહમાં નવા પ્રભારીના નામની થઇ શકે જાહેરાત
ગુજરાતમાં દોઢ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. 2022ના અંતમાં ચૂંટણી થાય તે પહેલા જ રાજકીય પાર્ટીઓ પોતાની તૈયારીમાં વ્યસ્ત બની ગઈ છે પરંતુ કોંગ્રેસ પાર્ટીના પ્રભારી રાજીવ સાતવનું નિધન થતા ગુજરાત કોંગ્રેસ અત્યારે નેતૃત્વ વગરની છે. એક તરફ વિપક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખની પસંદગીને લઈને ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ પ્રભારીનું અકાળે અવસાન થતા પાર્ટીનું હાઇકમાન્ડ પણ સક્રિય થયું છે.
ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા માટે AICCમાં એવા નામો પર ચર્ચા કરવામાં આવી રહી છે. જે સંગઠનમાં નિષ્ણાત હોય અને પાર્ટીમાં ફરી પ્રાણ પુરી શકવા માટે સક્ષમ હોય. કોંગ્રેસ હાલ ગુજરાતના પ્રભારીના નામ માટે મનોમંથન કરી રહી છે. આ માટે કેટલાક સિનિયર નેતાઓના નામની પણ ચર્ચા કરવામાં આવી રહી છે. અગાઉ સચીન પાયલટ અને બીકે હરિપ્રસાદના નામ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે હાલ નવા નામો પર પણ મંથન કરવામાં આવી રહ્યું છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત કોંગ્રેસના પ્રભારી માટે AICCમાં મંથન કરવામાં આવી રહ્યું છે અને આગામી 2 સપ્તાહમાં નવા પ્રભારીના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. AICCના મંથનમાં પ્રદેશ પ્રભારીની રેસમાં વધુ 2 નામોનો ઉમેરો કરવામાં આવ્યો છે. હાલ આ પદ માટે મુકુલ વાસનીક, અવિનાશ પાંડે, બીકે હરિપ્રસાદ અને મોહન પ્રકાશનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે.
મહત્વનું છે કે, અવિનાશ પાંડે રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી રહી ચુક્યા છે અને તેમના કાર્યકાળ દરમિયાન જ અશોક ગેહલોત અને સચીન પાયલટનો વિવાદ સપાટી પર આવ્યો હતો. જોકે, તે મામલાનો સુખદ ઉકેલ આવ્યા બાદ સચીન પાયલટે તેમને પ્રભારી પદેથી હટાવવાની માગ કરતા તેમના સ્થાને અજય માકનને તે જવાબદારી સોંપવામાં આવી હતી.
ચર્ચમાં રહેલા અન્ય નામોની વાત કરવામાં આવે તો મુકુલ વાસનીક હાલ મધ્યપ્રદેશના પ્રભારી છે. મુકુલ વાસનીક AICCના જનરલ સેક્રેટરી પણ છે. જ્યારે હરિપ્રસાદ અને મોહન પ્રકાશ અગાઉ ગુજરાતના પ્રભારી રહી ચૂક્યા છે. આ તમામની વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી અશોક ગેહલોતે મોહન પ્રકાશના નામની ભલામણ કરી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી કોના માથે પસંદગીનો કળશ ઢોળે છે તે બે સપ્તાહમાં ખબર પડી જશે.