અમદાવાદમાં 2010માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સ્વર્ણિમ પ્રકૃતિ મહોત્સવ હેઠળ ટ્રી પ્લાન્ટેશનનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પણ ઝાડ લગાવાયા હતા. પણ આમાંથી જે ઝાડ વાવવામાં આવ્યા હતા તેમાંથી કેટલા હયાત છે? તો જવાબ છે ખબર નહીં અને એ સાઈટ ઉપર જઈને જોવો તો પણ ઝાડ મળતા નથી. હાલ ઝુપડપટ્ટી છુપાવવા માટે દિવાલ ચણવામાં આવી અને હવે દિવાલ છુપાવવા માટે ઝાડ ઉગાડવામાં આવી રહ્યા છે.
અમદાવાદમાં વિવાદિત દિવાલને ઢાંકવાના તંત્ર દ્વારા પ્રયાસ
ઝુંપડા ઢાંકવા માટે દિવાલ બનાવ્યા બાદ તંત્રનું વધુ એક પગલું
દિવાલની આગળ ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ રોડ-શો કરીને મોટેરા સ્ટેડિયમ ખાતે પહોંચશે.. રોડ-શોની વચ્ચે ઝૂંપડા આવતા તંત્ર દ્વારા દીવાલ બનાવવામાં આવી છે. ત્યારે હવે વિવાદીત દિવાલને ઢાંકવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા દિવાલની આગળ ટ્રી-પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. વિદેશી મહેમાનોને દીવાલ ન દેખાય તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા ઝૂંપડપટ્ટીઓને ઢાંકવા માટે દીવાલ બનાવાઈ. ત્યારે હવે દીવાલને ઢાંકવા માટે ટ્રી-પ્લાન્ટેશન કરાઈ રહ્યું છે.
31 જુલાઈ 2010 યાદ છે?
31 જુલાઈ 2010ના રોજ અમદાવાદમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વૃક્ષારોપણનો વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો જો કે તેમાંથી મોટા ભાગના ઝાડ ઉગ્યા જ નથી. જીએમડીસી ગ્રાઉન્ડમાં એક સાથે ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતુ. અમદાવાદ અને જિલ્લામાં સ્વર્ણિમ પ્રકૃતિ મહોત્સવ અંતર્ગત ઉગાડવામાં આવેલા ઝાડ હાલ લાપતા છે.
શું કહે છે કોર્પોરેશન?
મનપા તો જાણે પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં નાંખવાનો શોખ હોય તેમ હંમેશા ઉત્સવોમાં રેડી હોય છે પણ એ પછી એની માવજત લેવામાં હાથ ઉંચા કરી દે છે. કોર્પોરેશન કહે છે કે, અમુક ઝાડ તેની જાતે જ કરમાઈ જાય છે. ફૂલછોડના કૂંડા મુકે તેની પણ પૂરતી માવજત નથી થતી. પહેલા તમામ ઓવરબ્રિજ ઉપરના ડિવાઈડર ઉપર ઝાડના કુંડા ગોઠવવામાં આવ્યા હતા જે થોડા જ દિવસમાં ગુમ થઈ ગયા હતા. અમદાવાદમાં ગ્રીન કવરમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે સતત વૃક્ષારોપણના ઢોંગ કરવામાં આવે છે પણ એ ઝાડ ખરેખર ઉગે છે કે નહીં તેની મનપાને તમા જ નથી.
ઝાડ કેવા પસંદ કરવા તેનો પણ ખ્યાલ નથી
ગમે તે ઝાડ કામચલાઉ ધોરણ માટે ઉગાડી દેવામાં આવે છે પરંતુ અમદાવાદની જમીનને કેવી છે કે કેવી નહીં તે જાણવાનો પ્રયાસ સુદ્ધા કરવામાં નથી આવતો. કારણ કે, નાળિયેરી, ખજૂરી, વાંસ જેવા ઝાડ ઉગાડવામાં આવે છે એ સાથે જ કેટલાક ફૂલછોડ પણ ઉગાડવામાં આવી રહ્યા છે. જેની જાળવણી કરવમાં આવતી નથી.