નળસરોવરઃ ગરમી અને તડકાની અસર હવે નળસરોવર પર પણ જોવાં મળી છે. 120.82 ચો કિ.મીમાં ફેલાયેલું નળસરોવર પણ આખરે સુકાઇ ગયું છે.
નળસરોવરઃ ગરમી અને તડકાની અસર હવે નળસરોવર પર પણ જોવાં મળી છે. 120.82 ચો કિ.મીમાં ફેલાયેલું નળસરોવર પણ આખરે સુકાઇ ગયું છે. અંદાજે 2 મહિનાથી નળસરોવર પાણી વિહીન બની ગયું છે. નળસરોવરને કિનારે આવેલાં 12 જેટલાં ગામોમાં પણ પાણીની અછત સર્જાઈ છે. નળસરોવર સુકાતા 12 ગામમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે.
નળસરોવર સુકાતાં પ્રવાસીઓ માટે જાહેરનામું તૈયાર કરાયું છે. 2002 બાદ ફરી એક વાર નળસરોવર સુકાયું છે. તળાવ સુકાઇ જતાં 300 લાયન્સ ધારક નાવડીઓ ઠપ્પ થઈ ગઇ છે. સરોવર સુકાઇ જતાં 300 નાવડી ચાલકોની રોજગારી પર માઠી અસર થઇ છે. તમને જણાવી દઇએ કે ચોમાસામાં નળસરોવરમાં સરેરાશ 7થી 8 ફૂટ પાણી હોય છે. પરંતુ આ વખતે ઓછાં વરસાદનાં કારણે ચોમાસામાં પણ નળસરોવરનાં માત્ર 2થી 3 ફૂટ પાણી હતું.
તમને જણાવી દઇએ કે નળ સરોવર એ ગુજરાત રાજ્યનાં અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) હેઠળ અને વનવિભાગનાં અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષીત એક વિશાળ સરોવર છે.
આ સરોવરની મહત્તમ ઉંડાઇ ૨.૭ મીટર છે પરંતુ ૬૦% કરતા વધારે વિસ્તારમાં પાણીની ઉંડાઇ એકથી સવા મીટર જેટલી છે પરંતુ જળાશય ૧૨,૦૦૦ હેકટર જેટલી વિશાળતા ધરાવે છે. અહીં પાણીની ઓછી ઉંડાઇને કારણે પાણીની સપાટીની નીચે વિવિધ વનસ્પતિ જોવાં મળે છે. ત્યારે ખોરાકની માત્રા અહીં વિપુલ પ્રમાણમાં હોવાંથી પક્ષીઓ અહીં ખૂબ મોટી સંખ્યામાં આવે છે.