રાજ્ય સરકાર દ્વારા ગત ર૭ ઓગસ્ટે હર ઘર નલ સે જલ નવી નીતિ જાહેર કરાઇ હતી. જે હેઠળ સરકારી કે ખાનગી પ્લોટોમાં બંધાઇ ગયેલા ગેરકાયદે રહેણાક મકાનોમાં રહેતા લોકોને રૂ.પ૦૦માં અડધા ઇંચનું પાણીનું કનેકશન આપવાનો નિર્ણય જાહેર કરાયો હતો. આગામી તા.૩૧ ડિસેમ્બર, ર૦ર૦ સુધી આ યોજના અમલમાં રહેશે.
જોકે આ નિર્ણયથી ઇમ્પેકટ ફી ભરીને ગેરકાયદે બાંધકામને કાયદેસર કરાવનારા લોકોની જેમ હવે ગેરકાયદે મકાનમાં રહેતા લોકોનાં પાણીનાં કનેકશનને સરકારી માન્યતા મળી ગઇ છે. એક અંદાજ પ્રમાણે શહેરમાં બે લાખથી વધુ ગેરકાયદે પાણીનાં કનેકશન હોઇ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીના વર્ષમાં આ લોકોનેે જલસા પડી ગયા છે.
અમદાવાદમાં તંત્ર સત્તાવાર કનેકશનનો આંકડો કરતું નથી જાહેર
સ્માર્ટ સિટી અમદાવાદમાં વર્ષ ર૦૧૦ની સ્થિતએ પાણીનાં પ,૯૮,૬૪૮ કનેકશન હતાં. હવે તંત્ર સત્તાવાર કનેકશનનો આંકડો જાહેર કરતું નથી, પરંતુ એક અંદાજ મુજબ શહેરમાં ૧૦ લાખથી વધુ સત્તાવાર કનેકશન છે. જોકે નરોડાથી નારોલ પટ્ટો કહો કે બહેરામપુરા, દાણીલીમડા, વટવા, રામોલ, હાથીજણ તેમજ મોટા ભાગનાં ઝૂંપડાં-ચાલી વિસ્તારમાં ઇજનેર વિભાગના સ્ટાફ દ્વારા કટકી લઇને અત્યાર સુધીમાં પાણીનાં હજારો ગેરકાયદે કનેકશન અપાયાં છે. જે હવે રૂ.પ૦૦નો ચાર્જ ભરીને કાયદેસર કરાઇ રહ્યાં છે. બે મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી હોઇ શાસક પક્ષ ભાજપે રાજ્ય સરકારની નલ સે જલ નીતિને ખાસ મહત્ત્વ આપ્યું છે.
પાણીનાં કનેકશન અપાવીને 'પાણી ભેગા' કરવાની તાકીદ કરાઇ
મ્યુનિસિપલ ભાજપ દ્વારા તેમના ૧૪૦ કોર્પોરેટરને ઘરે ઘરે ફરીને આ યોજના હેઠળ વધુને વધુ લોકોને સમજાવવાની અને પાણીનાં કનેકશન અપાવીને 'પાણી ભેગા' કરવાની તાકીદ કરાઇ છે. એટલે શાસક પક્ષના કોર્પોરેટરો પોતપોતાના વોર્ડમાં ફરીને ગેરકાયદે પાણીના જોડાણને કાયદેસર કરવા સમજાવી રહ્યા છે. જોકે પાણીની સાથે ગટરનાં જોડાણ પણ ગેરકાયદે હોઇ લોકોને તેનો નિયત ચાર્જ ભરવો પડશે. અત્યારે તો ભાજપના કોર્પોરેટરો હાઇકમાન્ડના નવા આદેશ મુજબ એકલ દોકલ કે પેનલના ચારેય કોર્પોરેટર મળીને રાજ્ય સરકારની નલ સે જલની નીતિને સફળ બનાવવાના પ્રયાસમાં મચી પડયા છે. એટલે કે ચૂંટણી દરમિયાન આવા લોકોના મત અંકે કરવાની પણ અંદરખાનેથી મ્યુનિ. ભાજપની રણનીતિ છે.
બીજી તરફ મ્યુનિ. વહીવટી તંત્ર દ્વારા પણ સંબંધિત ઇજનેર વિભાગને નલ સે જલની નીતિને સામ્ય બનાવવા માટેની સૂચના અપાઇ છે. બિનસત્તાવાર રીતે વોર્ડ દીઠ પ૦૦ કનેકશન કરાવી આપવાનો આદેશ અપાયો છે. રૂ.પ૦૦ના ચાર્જ ઉપરાંત સ્ટેમ્પ પેપર ઉપર બાંયધરી પત્ર આપવાનો હોય છે. જેમાં અરજદારે જણાવવાનું હોય છે કે કાયદેસરનાં પાણીનાં કનેકશનથી જે તે જમીન પરની મિલકતમાં મારો કાયદેસરનો હક્ક નક્કી થઇ જતો નથી. જોકે રૂ.૧૦, ર૦ કે પ૦ની સ્ટેમ્પ પેપરની ફી પણ ઇજનેર વિભાગ ચૂકવે છે. જે તે વોર્ડના પ૦, ૧૦૦ અરજીનો જથ્થો ભેગો કરીને તેના પર ઇજનેર વિભાગ નજીકની ખાનગી બેન્કમાં ફ્રેન્કીંગ કરાવી લે છે. ત્યાર બાદ અરજદારની બાંયધરી પત્ર પર સહી લેવાય છે.
ગેરકાયદે બાંધકામ ખુલ્લું થઇ જશે તેવો ફફડાટ જોવા મળ્યો
ઇમ્પેકટ ફીની અમલવારી વખતે ગેરકાયદે બાંધકામ કરનારા લોકોમાં તંત્રને અરજી કરવાથી પોતાનું ગેરકાયદે બાંધકામ ખુલ્લું થઇ જશે તેવો ફફડાટ જોવા મળ્યો હતો. જેના કારણે તે વખતે તંત્ર સમક્ષ ઇમ્પેકટ ફીનો લાભ લેવા પ૦ ટકા અરજી પણ આવી નહોતી. આવો જ ફફડાટ ગેરકાયદે પાણીનાં જોડાણ લેનાર વ્યકિતમાં અમુક અંશે જોવા મળી રહ્યો છે. તો કેટલાક લોકો ચૂંટણી આવી રહી હોઇ ગેરકાયદે પાણીનાં કનેકશનને કાપવાની હિંમત મ્યુનિસિપલ સત્તાવાળાઓ નહીં કરે તેવી મનોવૃત્તિ ધરાવે છે. એટલે રાજ્ય સરકારની નલ સે જલ નીતિ કેટલા અંશે સફળ થાય છે તે જોવાનું પણ રસપ્રદ બનશે.
અરજદારે પ્રોપ્રટી ટેક્સ ભર્યો હોય તેવી શરત
આ નીતિ હેઠળ ફકત રહેણાકની મિલકતમાં જ ગેરકાયદે પાણીનાં કનેકશનને માન્યતા આપવાની હોઇ શહેરમાં ઠેર ઠેર થયેલા ગેરકાયદે કોમર્શિયલ મિલકત ધારકોને આનો લાભ મળવાનો નથી. ગેરકાયદે કોમર્શિયલ મિલકત ધારકોના પણ ૬૦થી ૭૦ હજાર પાણીનાં જોડાણ હોવાનો અંદાજ છે. આમ તો રહેણાક વિસ્તારમાં ગેરકાયદે પાણીનાં કનેકશનને માન્યતા આપતી વખતે જે તે અરજદારે પ્રોપર્ટી ટેકસ ભર્યો હોય તેવી શરત પણ રખાઇ છે. જોકે અનેક કિસ્સામાં બાકી પ્રોપર્ટી ટેકસના મામલે પણ અરજદારની અરજીને આંખ મીંચીને માન્યતા અપાઇ રહી છે.
ગ્રામીણ વિસ્તારમાં જઇ ખેડૂતોને સમજાવાની જવાબદારી ભાજપના કોર્પોરેટરોને અપાઇ
આ ઉપરાંત કેન્દ્ર સરકારના કૃષિ બિલથી ખેડૂતોને મળનારા લાભ અંગે પણ ગ્રામીણ વિસ્તારમાં જઇ ખેડૂતોને સમજાવવાની જવાબદારી ભાજપના કોર્પોરેટરોને અપાઇ છે. જોકે કેટલાક કોર્પોરેટર પોતાના વતનના ગામમાં ખેડૂતોને કૃષિ બિલની માહિતી આપી રહ્યા છે તેમ છતાં ચૂંટણીનાં વર્ષમાં આવી જવાબદારીથી મોટા ભાગના કોર્પોરેટરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.