ભાજપ લોકસભાની ચૂંટણીમાં પાછા ફરવાની આશા રાખી રહ્યું છે ત્યારે ઉત્તરપૂર્વમાં મોટો ઝટકો લાગ્યો છે. મણિપુરમાં ભાજપની સાથે સરકારમાં શામેલ નગા પીપલ્સ ફ્રન્ટ (NPF)એ પોતાનું સમર્થન પાછું લીધું છે. NPFએ મોડી સાંજે આ મુદ્દે જાહેરાત કરી છે. NPFના પ્રવક્તા અચુમબેમો કિકોને કહ્યું કે કોહિમામાં NPFના મુખ્યાલયમાં લાંબી બેઠક બાદ પાર્ટીએ આ નિર્ણય લીધો છે.
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા અચુમબેમોએ કહ્યું કે એનપીએફના કેન્દ્રીય મુખ્યાલયમાં પાર્ટીની બેઠક થઈ અને અમે ભાજપ સરકારથી સમર્થન પાછું લેવાનો નિર્ણય કર્યો છે. મણિપુરમાં હાલમાં ભાજપની સરકાર છે અને ભાજપના નેતા એન બિરેન સિંહ રાજ્યના મુખ્યમંત્રી છે.
Achumbemo Kikon, Naga People's Front (NPF) Spokesperson to ANI: We had a long meeting at NPF central office in Kohima and decided to withdraw support in principle from the BJP led Manipur government. pic.twitter.com/XOAf5i65mT
જો કે નગા પીપલ્સ ફ્રન્ટ દ્વારા સમર્થન વાપસીને કારણે ભાજપ સરકાર પર કોઈ અસર નહીં પડે. 60 સભ્યોવાળી મણિપુર વિધાનસભામાં ભાજપના 29 ધારાસભ્યો છે. સરકારને અત્યાર સુધી સમર્થન આપી રહેલી પાર્ટીઓમાં NPFના 4 ધારાસભ્યો, LJPના એક ધારાસભ્ય, AITCના એક અને એક નિર્દળીય ધારાસભ્ય શામેલ છે. ભાજપ સરકારને અત્યાર સુધી 36 ધારાસભ્યોનું સમર્થન હાંસલ હતું. NPF દ્વારા સમર્થન પાછું લીધાં બાદ પણ ભાજપ પાસે 32 ધારાસભ્યોનું સમર્થન યથાવત્ રહેશે. આ રીતે ભાજપની સરકારને કોઈ ખતરો નહીં રહે.
ઉલ્લેખનીય છે કે મણિપુરમાં થેયલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અહીં 21 સીટો જીતી હતી પરંતુ બાદમાં કોંગ્રેસના 8 ધારાસભ્યો ભાજપમાં શામેલ થઈ ગયાં હતાં. આ રીતે ભાજપનું સંખ્યાબળ 29 થયું હતું.
NPFએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ પોતાના સહયોગીઓને તુચ્છ સમજે છે. મણિપુર એનપીએફના અધ્યક્ષ અવાંગોઉ નેવઈએ કહ્યું કે ભાજપ રાજ્યમાં સત્તામાં સાથી દળો સાથે ઓરમાયું વર્તન કરે છે. તેમણે કહ્યું કે સરકાર ગઠન બાદ ભાજપે ક્યારેય પણ ગઠબંધનની મૂળ ભાવનાનું સન્માન કર્યુ નથી. તેમણે કહ્યું કે સરકાર ગઠન સમયે ભાજપે જે વાયદા કર્યા હતા તે હજુ સુધી પૂર્ણ નથી કર્યા. જ્યારે ભાજપે NPFના આરોપોને નકાર્યા હતાં.