ગાંધીનગરઃ મગફળી કૌભાંડમાં નાફેડના ચેરમેન વાઘજી બોડાએ સૌથી મોટુ નિવેદન આપ્યું છે. તેમણે આ મુદ્દે રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે હજુ મગફળીનો જથ્થો ગુજરાતથી બહાર લઈ જવો અશક્ય છે. 8 લાખ ટન મગફળીની હેરફેર તરત જ શક્ય નથી. ગુજરાત સરકાર મગફળીની હેરફેરની તરફેણમાં છે. રોજના 220 ટ્રક મગફળીને ટ્રાન્સપોર્ટ કરે તો એક વર્ષ લાગે.
નાફેડે પોતાની જવાબદારીથી હાથ ખંખેર્યા?
વાઘજીભાઈના નિવેદનમાં હજુ ધાંધલી થવાની દહેશત લાગી રહી છે. ગોડાઉનમાં પડેલી મગફળી કૌભાંડનો ભોગ બની શકે છે. મગફળીમાં આગ લાગવી અને ધૂળ ભરવી જેવા કિસ્સાઓ હજુ બની શકે છે. તો આ તમામ બાબતોથી એવું લાગે છે કે નાફેડે પોતાની જવાબદારીથી હાથ ખંખેર્યા છે.
મધુ દોંગાના ગોડાઉનમાં સરકારી માલ બગડ્યો
તો નાફેડના ચેરમેને સરકારી માલ સાથે થતી સ્વાર્થવૃત્તિની વાત કરી હતી. ગોંડલમાં ગોડાઉન માલિકે કરેલી ધાંધલીનું ઉદાહરણ આપતા કહ્યું કે મધુ દોંગાના ગોડાઉનમાં સરકારી માલ બગડ્યો છે. મધુ દોંગાએ પોતે ખરીદેલી મગફળીના જથ્થાને સાચવ્યો છે. ગોડાઉન માલિકોની સ્વાર્થીવૃતિથી નાફેડ હાલ ચિંતિત છે. જાહેર માલ પ્રત્યે ગોડાઉન માલિકો ઉદાસીન છે.
સૌથી મોટી કિસ્સો ગણાવી શકાય
કારણકે મગફળીના ગોડાઉનમાં ફેબ્રિકેશન પણ કરવામાં આવતુ નથી. ખાનગી રાહે ખરીદેલી મગફળીને જબરદસ્તીથી સાચવવામાં આવે છે. નાણાં લઈ લીધા પછી સરકારી માલની અવગણનાનો આ સૌથી મોટી કિસ્સો ગણાવી શકાય. તો નાફેડના ચેરમેનના નિવેદનથી મોટા સવાલ ઉભા થયા છે.
નાફેડ પર ડે.સીએમ.નું મોટુ નિવેદનઃ મગફળીની તમામ ખરીદી નાફેડ હસ્તક કરાઈ
મગફળી કૌભાંડ મુદ્દે નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ સરકાર પર આક્ષેપ કર્યા છે કે મગફળી ખરીદીમાં મોટાપાયે ગોટાળો થયો છે. તેના વળતા જવાબમાં ડે.સીએમ નીતિન પટેલે જણાવ્યું કે મગફળીની તમામ ખરીદી નાફેડ હસ્તક કરાઈ હતી. મગફળી ખરીદીમાં રાજ્ય સરકારનો કોઈ રોલ નથી. ખોટા લોકો દ્વારા યોજનાનો દુરઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમારી ખરીદીમાં ક્યાંય ભેળસેળ નથી.
વાઘજી બોડાના સરકાર પર આક્ષેપ મંત્રી ફળદુએ નાફેડને ગણાવી જવાબદાર
મગફળી કૌભાંડ મામલે નાફેડના ચેરમેને સરકાર પર આક્ષેપ કર્યા છે. નાફેડના ચેરમેન વાઘજી બોડાએ જણાવ્યું કે મંત્રી ફળદુએ મગફળી આગમાં નાફેડને જવાબદાર ગણાવી હતી. મગફળી આગમાં નાફેડની સંડોવણી સત્યથી વેગળી છે. મગફળીમાં મોટા પાયે ધૂળ અને માટીનું પ્રમાણ મેળવવામાં આવ્યું હતું. મગફળી ખરીદીમાં મોટા પાયે ગોટાળા થયા છે.
નાફેડનુ કબુલાતનામુ
હું મગફળી આગ મામલે ધાંધલી થઈ છે તે સ્વીકારું છુ. નબળા અને ભ્રષ્ટ લોકોના ધંધાને વેગ મળે તેવી સ્થિતિ છે. સરકારે ભ્રષ્ટાચાર મામલે પાયામાંથી તપાસ કરવી જોઈએ. ખરીદ કેન્દ્રના સંચાલકો જ મગફળીમાં માટી ભેળવે છે. ખેડૂતો ક્યારેય મગફળીમાં માટી ભેળવતા નથી. ખરીદ કેન્દ્રોના બદઈરાદાને કારણે ધાંધલી થઈ છે. મગફળીમાં ધાંધલીના પાયામાં ખરીદ કેન્દ્રો છે.
જે મંડળીઓની તાકાત નહોતી તેને ગુજકોટે કામ આપ્યું
ગુજકોટે નબળી મંડળીઓને ખરીદનું કામ આપ્યું છે. ગુજકોમાસોલને ખરીદીના કામને બદલે ગુજકોટને આપ્યું. સરકારે ઉતાવળે નિર્ણય લીધો અને બિનઅનુભવી લોકોને કામ સોંપ્યું છે. મંડળીના સંચાલકો અને આગેવાનોએ ભ્રષ્ટાચાર કર્યો. જે મંડળીઓની તાકાત નહોતી તેને ગુજકોટે કામ આપ્યું. ભ્રષ્ટ લોકોને મંડળીઓ ખોલવાની ગુજરાત સરકારે મંજૂરી આપી.
ખરીદ કેન્દ્ર અને ગોડાઉનની તપાસ જ કરવાની જરૂર
ગુજરાત સરકાર નાફેડ પર ખોટા આરોપો લગાવે છે. ગુજરાત સરકાર મગફળી મામલે તપાસ કરાવે. નાફેડના અધિકારી જવાબદાર હોય તો સજા કરો. નાફેડ પોતાના ભ્રષ્ટ અધિકારીઓને સજાની તરફેણમાં છે. દૂધ સંઘો અને નબળી મંડળીઓને ખરીદી આપી તેનું પરિણામ છે. ખરીદ કેન્દ્ર અને ગોડાઉનની તપાસ જ કરવાની જરૂર છે. કેન્દ્ર અને ગોડાઉનની તપાસ કરશો તો તમામ વિગતો સામે આવશે.
નાફેડના ચેરમેનના નિવેદનથી ઉપજ્યા સૌથી મોટા સવાલ
શું નાફેડની પોતાની સત્તા મર્યાદિત છે?
શું નાફેડ સરકારી એજન્સી નથી?
પગલા લેવા માટે નાફેડ ગુજરાત સરકાર પર કેમ આધાર રાખે છે?
શું નાફેડ પોતાના ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલા ન લઈ શકે?
શું નાફેડના ચેરમેન હિંમત હારી ચુક્યા છે?
નાફેડ ભ્રષ્ટ લોકો સામે હારેલી-થાકેલી વાત કેમ કરે છે?
સામાન્ય જનતાના મનમાં ઉપજી રહ્યાં છે સવાલ
નાફેડના ચેરમેનની નિરાશાજનક વાતથી લોકોમાં પ્રશ્નો
શું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આવી નોડલ એજન્સીઓને ભરોસે ચાલશે?