નડીયાદની ખાનગી શાળામાં નમાજ માટે રૂમ આપવા મામલે વિવાદ સર્જાયો હતો. વાલીઓ દ્વારા સર્ટી લેવાની ચીમકી અપાતા શાળાએ માફી માગી છે.
નોલેજ સ્કૂલના સ્ટાફનો વાલી સાથેની વાતચીતનો ઓડિયો થયો હતો વાયરલ
શાળામાં નમાજ પઢવા માટે અલગ રૂમ આપવામાં આવે છે તેવી કરાઈ હતી કબૂલાત
મુદ્દે વિવાદ વધતા સંચાલક નિલય પટેલે માફી માગી છે
નડિયાદની નોલેજ સ્કૂલની એક કથિત ઓડિયો ક્લીપ ખુબ વાયરલ થઇ હતી. જેમાં સ્કૂલના સ્ટાફ અને વાલી વચ્ચે એડમિશન અંગેની વાતચીત થઇ હતી. જેમાં વાલીએ કહ્યું હતું કે, 'મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે નમાજ પઢવા અલગ રૂમ આપો છો. હિન્દુ વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસા ગાવા રૂમ આપશો?', આ વાતચીતમાં શિક્ષકે કબૂલાત કરી હતી કે, તે શાળામાં નમાજ પઢવા માટે અલગ રૂમ આપવામાં આવે છે. આ મુદ્દે હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો હતો. તો વાલીઓ દ્વારા સર્ટી લેવાની ચીમકી આપવામાં આવતા શાળાએ માફી માગી છે.
શાળામાં જે બન્યું તે હવે નહીં બનેઃ નિલય પટેલ
નોલેજ સ્કૂલના સંચાલક નિલય પટેલે દિલગીરી વ્યક્ત કરતા કહ્યું કે, શાળામાં જે બન્યું તે હવે નહીં બને. હિન્દુ સંગઠનોની હું માફી માગી દિલગીરી વ્યક્ત કરું છું.
ઓડિયો ક્લીપમાં શું થઇ હતી વાતચીત ?
...તો હનુમાન ચાલીસા ગાવા અલગ રૂમ આપશો?: વાલી
સ્ટાફ અને વાલી વચ્ચેની વાતચીતની ઓડિયો સામે આવતા સોશિયલ મીડિયામાં કોમેન્ટ અને શેરની ભરમાર લાગી ગઈ હતી. ઓડિયો ક્લીપમાં વાલી ફરિયાદ રૂપે મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે નમાજ પઢવા અલગ રૂમ પર સવાલ ઉઠાવે છે.
વાલી- સાહેબ પહેલા તો નોલેજની એક ફરિયાદ છે, નોલેજમાં નમાજ પઢવા માટે અલગ રૂમ આપો છો તેનું કારણ શું? એ યોગ્ય છે? કાલે મારા છોકરાને હનુમાન ચાલીસા પઢાવી હશે તો અલગ રૂમ આપશો?
સ્ટાફ- એમની અમુક જ સંખ્યા હોય ને
વાલી- એ ખોટી વાત છે, મારા છોકરાને અલગ રૂમ આપશો, દર મંગળવારે અને શનિવારે એક કલાક હનુમાન ચાલીસા બોલશે બોલો મંજૂર છે.
સ્ટાફ- એમના ધર્મનું હોય એટલે મંજૂરી આપી છે
વાલી- સાહેબ હિન્દુ ધર્મનું ગર્વ હોવું ખપે. સંખ્યા ઓછી થઇ જશે તમે જાણો છો પણ મોટો ઇશ્યુ છે
હું સતસંગી જ છું વડતાલનો, સતસંગીની સ્કૂલમાં હોવા છતા તમે આવી રીતે કરો...તે લોકો કોઇ દિવસ આપણા ધર્મને સપોર્ટ કરે છે? હિન્દુ ધર્મનું ગૌરવ ન હોય તેવી સ્કૂલમાં મારે મારા બાળકોને મુકીને કરવાનું શું? તો હિન્દુ ધર્મના ગૌરવનું શું?
શિક્ષણના ધામમાં બધા ધર્મ સમાન
મહત્વનું છે કે શિક્ષણ એક ઘર્મ છે અને શિક્ષાના મંદિરમાં તમામ સરખા હોય છે કોઈ નાત જાત કે કોઈ ધર્મનો ભેદભાવ સ્કૂલ પરિસરમાં રાખવામાં આવતો નથી. ત્યારે ખેડા નડિયાદની નોલેજ સ્કૂલમાં જો ઓડિયો કલીપના દાવા પ્રમાણે જો કામકાજ થઈ રહ્યું છે, તો બાળકનાં માનસ પર જ પહેલાથી ભેદભાવની વૃતિ પ્રવેશી શકે છે. કોઈને નમાજ અદા કરવી હોય કે કોઈને હનુમાન ચાલીસા બોલવી હોય સ્કૂલ શરૂ થાય ત્યારે એક માત્ર પાર્થના રાખવામાં કરવામાં આવતી હોય છે.