ઉત્તરપ્રદેશમાં રહસ્યમય તાવનો આતંક વધી રહ્યો છે. કેટલાક ગામોમાં લોકો પોતાના જ ઘર છોડીને નાસી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના અમુક શહેરોમાં સેંકડો બાળકો એક રહસ્યમય તાવથી તપી રહ્યા છે. અચાનક આ તાવના કારણે લોકોના શ્વાસ રોકાઈ જાય છે. ફિરોઝાબાદમાં આ રસીમયી તાવના કારણે અત્યાર સુધીમાં 50 થી વધુ બાળકોના મોત થઈ ચૂક્યા છે. તો મથુરામાં છેલ્લા 15 દિવસમાં 11 બાળકોના મોત થઈ ગયા હતા. આજે સવારે જ 2 બાળકોના મોતથી તંત્ર હરકતમાં આવ્યું હતું.
તંત્ર હરકતમાં આવ્યું
મથુરામાં હજું સુધી 11 બાળકો સહિત 13 લોકના મોત થઈ ચૂક્યા છે. મોત બાદ લોકોમાં ભયનો માહોલ બની ગયો હતો. ફરહ નાણ કૌહ ગામમાં ફેલાયેલી મહામારીના કારણે કેટલાય પરિવારો પોતાના ઘરો પર તાળાં મારીને પોતાના સગા સંબંધીઓના ઘરે નાસી ગયા હતા. જો કે જિલ્લા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ગામના પાણીની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને લોકોની તપાસ પણ થઈ રહી છે.
હજુ સુધી રિપોર્ટમાં ડેન્ગ્યુ અને મલેરિયા સાથે અન્ય કેટલીક બીમારીના લક્ષણો મળ્યા છે. પરંતુ મોતના વધી રહેલા આંકડાના કારણે લોકોની ચિંતામાં વધારો થયો છે. ગામમાં દિલ્હી અને લખનૌથી ટીમો પણ કેમ્પ કરવા માટે આવઇ રહી છે અને તપાસ કરી રહી છે કે આખરે ગામમાં ફેલાયેલી મહામારીનું કારણ શું છે?
મથુરાના ફરહ ના 4, ગોવર્ધનના 2 અને મથુરા બ્લોકના 2 ગામમાં લોકો આ બીમારીના કારણે સૌથી વધારે પ્રભાવિત થયા હતા. અને અનેક લોકોના મોત સતત થઈ રહ્યા હોવાના કારણે ગ્રામજનોમાં ખૌફ ફેલાઈ ગયો હતો. તો સામે તંત્ર દ્વારા ગામમાં અસ્થાયી સ્વરૂપે હોસ્પિટલ બનાવી દેવામાં આવઇ છે અને બીમાર લોકોને આગ્રા, મથુરા અને વૃંદાવનમાં લઈ જઈને તેમનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે.
જે બાળકીને CM મળ્યા હતા એ જ બાળકીનું મોત
આ રહસ્યમય તાવનાં સૌથી વધારે કેસ ફિરોજાબાદમાં સામે આવ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ફિરોજાબાદની મુલાકાત દરમિયાન સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં દાખલ થયેલી કોમલ સતહ મુલાકાત લીધી હતી અને પરિવારજનોને તેના ઈલાજનું અશ્વાસન આપ્યું હતું. પરંતુ સીએમની આ મુલાકાતના થોડા જ કલાકો બાદ કોમલનું પણ અવસાન થયું હતું.
ફિરોજાબાદ સિવાય આ રહસ્યમય તાવના દર્દી આગ્રા, કાનપુર, મથુરા, કાસગંજમાં પણ જોવા મળી રહ્યા છે. તો પૂર્વીય ઉત્તરપ્રદેશના ગોંડા, બસ્તી, દેવરિયા, બલિયા, આજમગઢ, સુલતાનપૂર અને ગાજીપુરમાં પણ આ તાવ ફેલાઈ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેર પહેલા ઉત્તર પ્રદેશમાં રહસ્યમય તાવનો કહેર ફેલાઈ ગયો છે.
ફરૂખાબાદમાં પણ રહસ્યમય તાવના કારણે હાહાકાર મચી જવા પામ્યો હતો. જિલ્લામાં કેટલાય ગામડામાં સેંકડો લોકો બીમાર પડી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ફરૂખાબાદના જરારી ગામમાં ત્રણ લકોના મોત થઈ ચૂક્યા છે. ગામના દરેક ઘરમાં મહિલાઓ અને ઘરડા કે બાળકો બધા તાવથી તપી રહ્યા છે. ગામના લોકો અનુસાર 2 અઠવાડિયાથી લોકો આ તાવ સહન કરી રહ્યા છે.