મ્યાનમારમાં સેના અને પ્રદર્શનકારીઓ વચ્ચેની હિંસામાં ઓછામાં ઓછા ૩૩ લોકો માર્યા ગયા હોવાની જાણકારી સામે આવી છે.
મ્યાનમારમાં ફરીથી હિંસા ભડકી
સેના- પ્રદર્શનકારીઓ વચ્ચેની ગોળીબારમાં ૩૩ના મોત
મ્યાનમારમાં સેનાએ સત્તા કબજે કરી છે
ભારતના પાડોશી દેશ મ્યાંમારમાં લશ્કરે બળવા દ્વારા લોકતાંત્રિક સરકાર પદભ્રષ્ટ કર્યા પછીથી જ સ્થાનિક જનતામાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે, લોકો સડકો પર પ્રદર્શન કરી રહ્યા છે અને સેના ગોળીબાર કરી રહી છે.
બુધવારે ફરીથી મ્યાનમારમાં વિરોધ પ્રદર્શન કરનારા લોકો અને સુરક્ષા દળો વચ્ચે હિંસા ભડકી ઊઠવાના અહેવાલ છે. એક માહિતી અનુસાર બળવા વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા દળોએ કરેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 33 લોકો માર્યા ગયા હતા. મૃતકોની સંખ્યા વિશેની આ માહિતી સોશિયલ મીડિયા અને સ્થાનિક સમાચારમાં આપવામાં આવી છે.
મ્યાનમારમાં સ્થિતિ બગડી રહી છે
ઘણા કેસમાં મૃતકોનાં નામ, ઉંમર અને શહેરની વિગતો પણ આપવામાં આવી છે. જો કે, આ અહેવાલોની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી. સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર કચેરીએ કહ્યું કે સુરક્ષા દળો દ્વારા રવિવારની કાર્યવાહીમાં ઓછામાં ઓછા 18 વિરોધીઓ માર્યા ગયા.
નોંધનીય છે કે ચાલુ વર્ષે 1 ફેબ્રુઆરીએ મ્યાનમારમાં સત્તા પર બળવા પછી વિરોધીઓ શેરીઓમાં સતત પ્રદર્શન કરી રહ્યા છે. લોકો આંગ સાન સુ કી અને અન્ય નેતાઓને મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે. ભારત, યુએસ અને યુરોપના અમુક લોકતાંત્રિક દેશો દ્વારા પહેલાથી જ આ બળવાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી ચૂકી છે, જો કે હાલમાં આ દેશમાં હાલત પ્રત્યેક પળે ગંભીર બની રહી છે, અને સ્થાનિક પ્રજા અને સેના વચ્ચેનો સંઘર્ષ ક્યારે અટકશે અને ક્યારે આ હિંસા બંધ થશે તે વિશે કઈં પણ કહેવુ મુશ્કેલ છે.