ફિલ્મ એક્ટર સુશાંત સિંહ રાજપૂત મામલે મુઝફ્ફરપુરની કોર્ટે ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહર સહિત 7 ફિલ્મી હસ્તીઓને નોટિસ પાઠવી છે. જિલ્લા અને સત્ર ન્યાયાધીશ રાકેશ માલવીયની કોર્ટે આ તમામને 21 ઓક્ટોબરે પોતે અથવા તેમના વકીલના માધ્યમથી હાજર રહેવાના આદેશ આપ્યા છે. જે લોકોને નોટિસ મોકલવામાં આવી છે તેમાં કરણ જોહર ઉપરાંત આદિત્ય ચોપરા, સંજય લીલા ભણસાલી, સાજિદ નડિયાદવાલા, એકતા કપૂર, ભૂષણ કુમાર અને દિનેશ વિઝાન સામેલ છે.
સુશાંત કેસમાં રોજ નવા વળાંક
હવે સુશાંત કેસમાં કરણ જોહર સહિત આ હસ્તીઓને નોટિસ મોકલાઈ
આ કારણથી આ લોકોને કોર્ટમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે
મુઝફ્ફરપુરના એડવોકેટ સુધીર ઓઝાએ ગત 17 જૂને મુઝફ્ફરપુર CJMની કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેમાં સલમાન ખાન સહિત તમામ ફિલ્મી હસ્તીઓને સુશાંતની મોત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. અધિકાર ક્ષેત્રથી બહાર જણાવતા CJMની કોર્ટે આ મામલો રિજેક્ટ કરી દીધો હતો. ત્યારે સુધીર ઓઝાએ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં રિવિઝન સુધારો દાખલ કર્યો હતો. ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં દાખલ રિવીઝન સુધારાની સુનાવણી કરતા તમામને 7 ઓક્ટોબરે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
7 ઓક્ટોબરે પર સલમાન ખાને તેના વકીલના માધ્યમથી હાજરી આપી હતી. જોકે, સાતેય બોલિવૂડ હસ્તીઓ ગેરહાજર રહી હતી. તે જોતાં આ તમામ વિરુદ્ધ નોટિસ જારી કરવામાંઆવી છે. કોર્ટમાં અરજી કરનાર સુધીર ઓઝાનો આરોપ છે કે, આ લોકોએ જ સુશાંતની ફિલ્મો છીનવી લીધી અને કાવતરું કર્યું જે બાદ તેઓ સુશાંતને પરેશાન કરવા લાગ્યા, જેને કારણે સુશાંત ડિપ્રેશનમા જતો રહ્યો હતો અને કંટાળીને તેણે આત્મહત્યા કરી લીધી હતી. વકીલ સુધીર ઓઝાએ જણાવ્યું કે, આ તમામે કોર્ટમાં હાજર થઈને તેમનો પક્ષ મૂકવો પડશે.
તમને જણાવી દઈએ કે, દેશના આ બહુચર્ચિત કેસમાં અત્યારે CBI તપાસ કરી રહી છે. સુશાંતના મોત બાદ બોલિવૂડનું ડ્રગ્સ કનેક્શન પણ સામે આવ્યું છે. ઘણી ફિલ્મી હસ્તીઓની આ મામલે પૂછપરછ પણ કરવામાં આવી છે.