સમગ્ર રાજયમાં પાણીની અછત અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. ત્યારે 'જળ બચાવો-જીવન બચાવો'ના સુત્રને સાર્થક કરી ભાવનગરના મુસ્લિમ બિરાદરો દ્વારા આધુનિક નળો મસ્જિદોમાં ફીટ કરી હાલ 80% પાણીનો બચાવ કરી રહ્યા છે. આધુનિક અને સ્ટીક વાળા આ નળમાં પાણીનો વ્યય સહેજ પણ થતો નથી અને પાણીની સાથે વીજળીની બચત પણ થાય છે. શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા આ નળને મંદિરોમાં અને દેરાસરો સહીત વિવિધ સ્થળે વિનામૂલ્યે ફીટ કરી આપવાની જાહેરાત કરી પાણી બચાવ અભિયાનમાં જોડાયા છે.
પાણી બચાવો-પાણી જીવન બચાવશે. આ હકીકત હાલના સમયમાં સૌને સ્વીકારી પડે તેમ છે. હાલના આકરા ઉનાળામાં રાજ્યના અનેક શહેરો અને ગામોમાં પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. પાણી વગર લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે ત્યારે ભાવનગર શહેરની વિવિધ મસ્જિદોમાં હાલ એક આધુનિક નળ મુકવામાં આવ્યા છે. આ નળ તેમાં રહેલી સ્ટીક વડે કાર્યરત થાય છે. જેમાં સ્ટીકને પકડી રાખી અપ-ડાઉન કરવાથી તેમાંથી પાણીનો પ્રવાહ શરુ થાય છે. તેને છોડી દો એટલે પાણી અટકી જાય છે. જેથી વધારાના પાણીનો વ્યય થતો નથી.
ખાસ મસ્જિદોમાં જ્યારે મુસ્લિમ બિરાદરો નમાજ અદા કરવા જાય છે ત્યારે હાથ-પગ-મોં વગરે ધોઈ અને બાદમાં નમાજ અદા કરે છે. આ બાબતે અગાઉના સમયમાં સાદા નળના કારણે એકવાર શરુ કર્યા બાદ જ્યાં સુધી તેનું કુલી કાર્ય(હાથ-પગ-મોં ધોવાનું કાર્ય) પૂર્ણ ના થાય ત્યાં સુધી નળ શરુ રહેલા જરૂર કરતા વધુ પાણીનો વ્યય થતો હતો.
એક અંદાજ મુજબ એક મસ્જીદમાં રોજનું એક સમયે એક હજાર લીટર પાણીનો વપરાશ થતો હતો. જે આ આધુનિક નળ ફીટ કર્યા બાદ વપરાશમાં ૮૦%નો કાપ આવ્યો છે. પાણી વેડફાટ બંધ થતા હાલ માત્ર ૨૦૦ લીટર પાણીનો જ વપરાશ થતા એક મસ્જિદમાં ૮૦૦ લીટર પાણી બચી રહ્યું છે. આવી ૧૨ જેટલી શહેરની મસ્જિદોમાં આવા ૨૦૦થી વધુ નળ ફીટ કરવામાં આવ્યા છે.
મુસ્લિમ બિરાદરો દ્વારા આ પાણી બચાવો ઝુંબેશને આગળ ધપાવવા શહેરના મંદિરો કે દેરાસરોમાં જ્યાં જરૂર પડે વિનામૂલ્યે આવા નળો ફીટ કરી આપવાની પણ વાત કરવામાં આવી છે. જેથી વધુમાં વધુ પાણીનો બચાવ થઇ શકે. આ કાર્યને મસ્જિદમાં આવતા લોકોએ પણ આવકાર્યું છે.
મહામુલી પાણીને બચાવીએ
મંદિરો કે દેરાસરોમાં પૂજા અર્ચના કરો કે પછી મસ્જિદોમાં નમાજ અદા કરો પરંતુ જે જરૂરી છે તે ફરજ પહેલા અદા કરો. જેની કિંમત તેની અછત સમયે સમજાય છે એવા મહામુલી પાણીને અત્યારથી જ બચાવીશું તો તે યોગ્ય સમયે આપણને જ ઉપયોગી થશે.
સાથે સાથે પાણીનો યોગ્ય અને જરૂરિયાત મુજબના વપરાશથી વીજળી પણ બચશે. જેનો ફાયદો સરવાળે લોકોની સાથે રાજ્ય અને દેશને પણ થશે ત્યારે આવો પાણીને બચાવવાની પહેલમાં સહભાગી બની એકકેન પ્રકારે પાણીને બચાવી જીવન બચાવીએ અને મુસ્લિમ સમાજના આ સંદેશને આગળ ધપાવીએ.