ઉત્તર- પૂર્વ દિલ્હીના અશોક નગરમાં લગભગ 40 મુસલમાનો માટે હિંદુ પડોશીઓ દેવદૂત બન્યા છે. અસામાજિક તત્વોએ અશોક નગરમાં મંગળવારે મુસલમાનોનાં 6 મકાન સળગાવી દીધા. તેમની 6 દુકાનો ફુંકી મારી છે.
બેધર થયેલા લોકો માટે તેમના હિંદુ પડોશીઓએ પોતાના ઘરના દરવાજા ખોલ્યા
સ્થાનિક લોકોએ કહ્યું, બહારથી આવેલા ટોળાએ કોલોનીમાં આતંક મચાવ્યો
25 વર્ષથી એક સાથે રહે છે આ હિંદુ - મુસ્લિમ પરિવારો
મુસ્લિમોને હિંદુઓએ આશ્રય આપ્યો
દિલ્હીની હિંસામાં અનેક હિંદુ- મુસ્લિમોના ઘર સળગાવી દેવામાં આવ્યાં છે. કેટલાક ઘરોમાં સંતાનોના લગ્ન હતા. તેની તૈયારીઓ પણ થઈ ગઈ હતી. જોકે હિંસામાં આ ખુશીઓ પર પાણી ફરી વળ્યું છે. આ આતંકની વચ્ચે એક આશાના કિરણની જેમ માનવતાનો એક દિપક જાણે આતંકના અંધારાને હરાવી રહ્યો હોય તેવા દ્રશ્યો દિલ્હીના અશોક નગરમાં જોવા મળ્યાં છે. અશોક નગરમાં હિંસામાં મંગળવારે બેઘર થયેલા મુસ્લિમોને હિંદુઓએ આશ્રય આપ્યો છે.
સ્થાનિકો તેમને નુકશાન ન કરવા કગરી રહ્યાં હતા
તે દિવસે બપોરે લગભગ 1 હજાર લોકોનું ટોળુ મસ્જિદની નજીક કોલોનીમાં ઘૂસી મસ્જિદમાં આતંક મચાવ્યો હતો. તેમજ લોકોના ઘર સળગાવ્યા હતા. આ વિસ્તારમાં 6 મુસ્લિમોના ઘર છે. ટોળાએ તેમના ઘર સળગાવવાની સાથે મસ્જિદ પર ભગવા સાથે તિરંગો ફરકાવ્યો હતો. જેને સ્થાનીક લોકોએ બુધવારે સવારે હટાવી દીધો હતો. તેમજ સ્થાનિકો તેમને નુકશાન ન કરવા કગરી રહ્યાં હતા. હુમલાખોરો બહારથી આવેલા હતા એવું સ્થાનિકોનું કહેવું છે.
મૌજપુર ચૌકમાં કાલ કરતા આજે સુરક્ષા વધારવામાં આવી
દિલ્હીની હિંસાના કારણે મૌજપુરની સ્થિતિ સૌથી ખરાબ થઈ ગઈ હતી. જોકે આજે જનજીવન સામાન્ય થતુ જોવા મળ્યું હતું . નોંધનીય છે કે, મૌજપુરના મેઈન રોડની પાસે એક જુતાની દુકાનને લુંટી લેવામાં આવી છે. સવારે મૌજપુર ચૌકમાં કાલ કરતા આજે સુરક્ષા વધારવામાં આવી છે.
25 વર્ષથી આ પરિવારો અહીં રહે છે
અશોક નગરમાં રહેતા રાજેશ ખત્રીનું કહેવું છે કે મોટા ભાગના હુમલાખોરોએ પોતાનું મોઢું ઢાંકેલું હતું. તેમના હાથમાં લોખંડના દંડા હતા. આ અસામાજિક તત્વોએ દુકાનો સળગાવી નાંખી હતી. અમને ડર લાગી રહ્યો હતો કે તે અમને મારી નાંખશે તો?
અમારે ક્યારેય હિંદુ ભાઈઓ સાથે ઝઘડો નથી થયો
દુકાનોને નિશાનો બનાવ્યા પછી ઘરોને આગ લગાવી હતી. મોહમ્મદ રશિદે કહ્યું હતું કે હુમલાખોરોને એ વાત ખબર હતી કે માત્ર 6 ઘર જ મુસ્લમાનોના છે એટલે તેમણે એ તમામ ઘરોને સળગાવી દીધા હતા. કશું જ નથી બચ્યું અમે રસ્તા પર આવી ગયા છીએ. જોકે અમારા પોડોશમાં રહેતા હિંદુઓએ અમને મદદ કરી છે. તેઓએ મને પોતાના ઘરે આશ્રય આપ્યો છે. અમે અહીં 25 વર્ષથી રહીએ છીએ. અમારે ક્યારેય હિંદુ ભાઈઓ સાથે ઝઘડો નથી થયો.
આ સમયે અમે તેમને એકલા નહીં છોડીએ
મુસ્લિમ પરિવારોને આશ્રય આપનાર પિંટુ કહે છે કે અમે તેમનો સાથ નહીં છોડીએ. અમે પણ હિંદુ છીએ પણ સંપતિને નુકશાન પહોંચાડવાનું વિચારી નથી શકતા. કેટલીક દુકાનો સળગાવવામા આવી તે આ જ પરિવારોની હતી. હુમલાખોરોએ આ લોકોના ઘર અને કમાણીનું સાધન એવી દુકાનોને નષ્ટ કરી નાંખી છે. આ સમયે અમે તેમને એકલા નહીં છોડીએ.
આ હુમલામાં હિંદુને પણ નુકશાન થયું છે
સ્થાનિક દાનિશનું કહેવું છે કે અમે અનેકવાર પોલીસને સહકાર માટે ફોન કર્યો પણ પોલીસ એક કલાક મોડી આવી હતી. એ બાદ પોલીસ અમને સુરક્ષા માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ જ્યાં અમે આખી રાત વિતાવી. ઉલ્લેખનીય છે કે અહીં હુમલામાં મસ્જિદની નીચે ચપ્પલ વેચવાનું કામ કરનાર રાજ કુમારની દુકાન સળગાવી દીધી હતી. આ હુમલામાં હિંદુને પણ નુકશાન થયું છે. સવારે તેઓ આવ્યા તો તેમને ફક્ત રાખ મળી હતી.