હાલ દેશમાં બનારસ હિન્દૂ યુનિવર્સીટીના સંસ્કૃત વિભાગમાં ફિરોઝ ખાન નામના એક મુસ્લિમ શિક્ષકની નિમણુંક થતા કેટલાક કટ્ટરવાદીઓએ હોબાળો મચાવ્યો હતો. તેની સામે ગુજરાતમાં વડોદરાના યાકુતપુરા વિસ્તારની શાળામાં સંસ્કૃત ભણાવતા શિક્ષક આબીદ સૈયદ 1998થી હજારો વિદ્યાર્થીઓને સંસ્કૃત ભણાવી રહ્યા છે અને ધર્માન્ધતા અને જ્ઞાન વચ્ચેની આ લડાઈમાં જ્ઞાનનું નેતૃત્વ કરી રહ્યા છે.
વડોદરા શહેરના યાકુરપુરા વિસ્તારમાં ઘણા મુસ્લિમ બાળકોને તમે સંસ્કૃત શ્લોકો અને વિભક્તિઓ મોટા અવાજે બોલતા સાંભળી શકો છે. તેમના શિક્ષક આબીદ સૈયદ તેમની નાનામાં નાની ભૂલ સુધારે છે અને બાળકો સાચું અને સ્પષ્ટ સંસ્કૃત બોલે અને દેશની સૌથી પ્રાચીન ભાષાનો વારસો સચવાઈ રહે તેનું ધ્યાન રાખે છે.
46 વર્ષના આબીદ સૈયદ છેલ્લા 22 વર્ષથી MES બોયઝ સ્કૂલના શિક્ષક છે. પરંતુ જેમ બનારસ હિન્દૂ યુનિવર્સીટીના સંસ્કૃત વિભાગમાં ફિરોઝ ખાનની નિમણુંક થતા કેટલાક કટ્ટરવાદીઓએ હોબાળો મચાવ્યો હતો તેમ અહીં કોઈ અસામાજિક તત્વોએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. હિન્દુઓ પણ તેમનો આદર કરે છે.
નોંધનીય છે કે BHUમાં ફિરોઝ ખાનની નિમણુંકથી છેલ્લા 15 દિવસથી વિરોધનો વંટોળ ઉઠ્યો છે અને વિદ્યાર્થીઓ 'મુસ્લિમ શિક્ષક સંસ્કૃત ન શીખવી શકે' ના નારા લગાવી રહ્યા છે.
ધર્મ નહિ જ્ઞાન અગત્યનું
પરંતુ સૈયદનું દ્રઢપણે માનવું છે કે ધર્મ અને આસ્થાનો જ્ઞાનપિપાસા સાથે કોઈ સંબંધ નથી. કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી સાચી રીતે ભણાવે છે ત્યાં સુધી જ્ઞાન આપવા માટે સક્ષમ છે. મુસ્લિમ ન હોય એ વ્યક્તિ પણ અરબી ભાષા ભણાવી શકે છે અને મુસ્લિમ વ્યક્તિ સંસ્કૃત ભાષા ભણાવી શકે છે. ભાષાને ભાષાની જેમ ગણવી મહત્વની છે. નોંધનીય છે કે સૈયદે વલ્લભ વિદ્યાનગરથી સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં MAની પદવી મેળવી છે.
સૈયદ પોતાના બાળપણમાં સંસ્કૃત ભાષામાં શ્લોકો બોલીને મોટા થયા છે. હાલ તેમની શાળામાં 166 વિદ્યાર્થીઓ 9માં ધોરણમાં ભણે છે. આ પૈકી લગભગ બધા વિદ્યાર્થીઓ મુસ્લિમ છે જે ઉત્સાહથી સંસ્કૃત શીખે છે. સૈયદના મતે સૌએ આ ભાષામાં શીખવાડવામાં આવતા નીતિમત્તાના પાઠ પોતાના જીવનમાં ઉતારવા જોઈએ.
સૈયદના પુત્રી પણ છે અભ્યાસમાં તેજસ્વી
સૈયદના પુત્રી ઇઝમા બાનુ બરોડા મેડિકલ કોલેજના MBBSના પહેલા વર્ષમાં ભણે છે. ઇઝમા બાનુએ 2017ની તેમની 10 ધોરણની પરીક્ષામાં ખુબ સારું પ્રદર્શન કર્યું હતું અને સંસ્કૃત વિષયમાં તો 98% માર્ક્સ મેળવ્યા હતા.