જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાથી હચમચી ગયેલા પાકિસ્તાને વિશ્વના દેશોના દરવાજા ખટખટાવ્યા, પરંતુ તેને ચીન સિવાય બીજા કોઈ મોટા દેશનો ટેકો મળ્યો નહીં, હવે મુસ્લિમ દેશોએ તેને સલાહ આપી છે.
પ્રભાવશાળી મુસ્લિમ દેશોની પાકિસ્તાનને સલાહ
પ્રધાનમંત્રી મોદી વિરૂદ્ધ ઇમરાન બંધ કરે કવેણ
19 સપ્ટેમ્બરે ઇમરાન ખાન જશે સાઉદી અરબ
પ્રભાવશાળી મુસ્લિમ દેશોની પાકિસ્તાનને સલાહ
સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા પ્રભાવશાળી મુસ્લિમ દેશોએ એક તરફ પાકિસ્તાનને ભારત સાથેની બેકડોર ડિપ્લોમસી ચેનલ સક્રિય કરવાની સલાહ આપી હતી અને બીજી તરફ પાકિસ્તાનના PM ઇમરાન ખાનને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ખરાબ ભાષાના ઉપયોગ પર લગામ લગાવવાનું પણ કહ્યું હતું.
શક્તિશાળી રાષ્ટ્રોના સંદેશા લઇને આવ્યા UAE ના વિદેશમંત્રી
પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુનના સમાચાર મુજબ, 3 સપ્ટેમ્બરના રોજ સાઉદી અરેબિયાના વિદેશ પ્રધાન આદિલ અલ ઝુબૈર અને યુએઈના વિદેશ પ્રધાન અબ્દુલ્લા બિન અલ નહ્યાને ઈસ્લામાબાદની મુલાકાત પર તેમના નેતૃત્વ અને કેટલાક અન્ય શક્તિશાળી દેશોના સંદેશા લાવ્યા હતા.
UAE ના વિદેશ મંત્રી પાકિસ્તાનની મુલાકાતે
તેમણે પાકિસ્તાનને ભારત સાથે અનૌપચારિક વાટાઘાટો કરવા જણાવ્યું હતું. એક દિવસની મુલાકાત દરમિયાન તેમણે પ્રધાનમંત્રી ઇમરાન ખાન, વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશી અને આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા સાથે મુલાકાત કરી હતી.
ગુપ્ત વાતચીત દરમિયાન અપાઇ સલાહ
એક્સપ્રેસ ટ્રિબ્યુનના અધિકારીએ કહ્યું, "આ વાતચીત ખૂબ જ ગુપ્ત હતી અને વિદેશ મંત્રાલયના માત્ર ઉચ્ચ અધિકારીઓને જ તે બેઠકોમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી." અહેવાલમાં જણાવાયું છે કે, સાઉદી અરેબિયા અને યુએઈના રાજદ્વારીઓએ ઈચ્છા વ્યક્ત કરી છે કે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચેના તણાવને ઘટાડવા માટે ભૂમિકા ભજવવા માગે છે. આ દરખાસ્તોમાંથી એક બંને દેશો વચ્ચેની બેકડોર મુત્સદ્દીગીરી હતી.
19 સપ્ટેમ્બરે સાઉદી અરબ જશે ઇમરાન ખાન
જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને હટાવ્યા પછી અને બંધારણની કલમ 370 ની કેટલીક જોગવાઈઓને નાબૂદ કર્યા પછી, પાકિસ્તાને ભારત સાથેના રાજદ્વારી સંબંધોને મર્યાદિત કર્યા છે. ત્યારબાદથી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સતત ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કરી રહ્યા છે. આ તમામ બાબતો વચ્ચે 19 સપ્ટેમ્બરના રોજ સાઉદી અરબ જવાના છે.