ગાઝિયાબાદમાં મુસ્લિમ વૃદ્ધની મારઝૂડ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે હું એ માનવા તૈયાર નથી કે કોઈ સાચા રામભક્ત આવું કામ કરે.
ગાઝિયાબાદમાં મુસ્લિમ વૃદ્ધની મારઝૂડ થઈ
જયશ્રી રામ ન બોલતા વૃદ્ધ સાથે અણછાજતો વ્યવહાર
રાહુલે કહ્યું રામભક્ત આવું કેવી રીતે કરી શકે
યોગીનો જવાબ, સમાજમાં નફરત ફેલાવવાનું બંધ કરો
રાહુલ ગાંધીએ આ ઘટનાને શરમજનક ગણાવતા કહ્યું કે હું એ માનવા તૈયાર નથી કે શ્રીરામના કોઈ ભક્ત આવું કરી શકે. આવી ક્રૂરતા માનવાથી ઘણી દૂર છે. રાહુલે કહ્યું કે આ સમાજ અને ધર્મ બન્ને માટે શરમજનક છે.
સત્તાની લાલચમાં માનવતાને શર્મશાર કરી રહ્યાં છો-યોગીનો રાહુલ પર પ્રહાર
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને રાહુલ પર પ્રહાર કર્યો. યોગીએ જણાવ્યું કે પ્રભુ શ્રીરામનો પહેલો ઉપદેશ છે સત્ય બોલવું, જે તમે જીવનમાં કદી પણ કર્યું નથી. તેમણે કહ્યું કે શરમ આવવી જોઈએ કે પોલીસ દ્વારા સાચી વાત જણાવાઈ હોવા છતાં પણ તમે સમાજમાં ઝેર ફેલાવવાનું કામ કરી રહ્યાં છો. સત્તાની લાલચમાં માનવતાને શર્મશાર કરી રહ્યાં છો. તેમણે એવું પણ કહ્યું કે યુપીની જનતાને અપનામિત કરવી, તેમને બદનામ કરવાનું છોડી દો.
શું છે ઘટના
ગાઝિયાબાદના લોની બોર્ડર વિસ્તારમાં ઓટોમાં બેઠેલા એક વૃદ્ધને જયશ્રી રામ બોલવાની ફરજ પાડવામાં આવી. વૃદ્ધ મુસ્લિમે જ્યારે જયશ્રી રામ બોલવાનો ઈન્કાર કર્યો ત્યારે તેમની મારઝૂડ કરવામાં આવી તેમના દાઢીના વાળ પણ ખેંચવામાં આવ્યાં. વૃદ્ધનું નામ સુફી અબ્દુલ સમદ છે. આ ઘટનામાં પોલીસે કેસ પણ દાખલ કર્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં વિરોધ કરનાર વૃદ્ધ મુસ્લિમ પર બદમાશો તૂટી પડ્યાં હતા.