ભાવનગરઃ હત્યા લૂંટ અને દુષ્કર્મ અને હવે ખંડણી મંગાવા જેવા બનાવોમાં ભારે વધારો થયો છે. લોકોમાં રોષ જાગ્યો છે ત્યારે ખંડણી માંગવા આવેલા શખ્સો સામે પોલીસ ફરિયાદ કરનારી આ અસામાજિક તત્વોનો ભોગ બની છે. ભાવનગરના જમાનકુંડ વિસ્તારમાં રહેતી એક મહિલાના ઘરે જઈને અસામાજિક તત્વોએ તેના ઉપર છરી વડે હુમલો કર્યાની ઘટનાના ઘેર પડઘા પડ્યા છે.
આજે મુસ્લિમ સમાજના લોકોએ એક રેલી કાઢી ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વાળાને આવેદન આપ્યું હતું. જમાનકુંડમાં રહેતી મહિલા શમીમબાનુએ થોડા સમય પહેલા તેમની પાસે ખંડણી માંગનારા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ખંડણી ખોરો એ ફરિયાદ પરત લેવા મહિલાને જણાવ્યું હતું. પરંતુ મહિલાએ ફરિયાદ પાછી ના ખેંચતા આ શખ્સોએ ગત રાત્રીના મહિલાના ઘરે છરી લઈને ધસી ગયા હતા અને હુમલો કર્યો હતો.
આ ઘટનાની જાણ સમાજના લોકોને થતા આજે સવારે મુસ્લિમ સમાજે એક રેલી કાઢીને આવા ખંડણીખોર સામે પોલીસ કડક હાથે કાર્યવાહી હાથ ધરે તે માટે પોલીસને રજુઆત કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અસામાજિક તત્વોની શોધખોળ હાથધરી છે.